સ્વ.અટલ બિહારી વાજપેયીનો આવતીકાલે જન્મદિવસ દેશમાં ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવશે
દેશની એકતા, અખંડિતતા અને સંસદીય લોકશાહીના ઉપાસક, ભારતમાતાના પનોતા પુત્ર અટલ બિહારી વાજપેયીજીનો આવતીકાલ તારીખ 25 મી એ જન્મદિવસ છે. આ નિમિત્તે શત શત નમન કરતા ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે અટલજી એટલે ભારતીય રાજનીતિમાં એક મુઠ્ઠી ઊંચેરૂ, અજાતશત્રુ વ્યક્તિત્વ. કવિ હૃદયના પણ દેશહિતમાં નિર્ણયોમાં હંમેશા અટલ રહેનારા એવા અટલજી. આજે અટલ બિહારી બાજપેયી સદેહે આપણી વચ્ચે હાજર નથી પણ તેમના વિચારો અને સમગ્ર જીવનની દરેક ઘટનાઓ ખુલ્લા પુસ્તકની માફક આપણી સામે આદર્શ બનીને એક મશાલની જેમ ઝળહળે છે. અટલજીએ પાયાના પથ્થર બનીને જનસંઘથી ભાજપ સુધીની વિચાર વિજય યાત્રાને આગળ ધપાવી જેના પરિણામસ્વરૂપે તેમના રાજનૈતિક આદર્શોને ચરિતાર્થ કરવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એ યાત્રાને સફળતાપૂર્વક આગળ ધપાવી તેમના સંકલ્પો તથા અધૂરા કાર્યો પુરા કરવા લોકકલ્યાણ અને વિકાસ ની વણથંભી યાત્રા ને આગળ વધારી રહ્યા છે. આવા વિરાટ વ્યક્તિત્વના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનું આચમન આજે પ્રેરણારૂપ બની રહેશે. અટલજીના રાજકીય જીવનની વાત કરીએ તો છ દાયકા કરતા પણ વધારે સમય સુધી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં તેમના ઉપર કોઈ આક્ષેપ મુકવાની વાત તો દૂર ખાલી આંગળી ચીંધવી પણ અશક્ય છે. પોતાના પક્ષ માટે તો ઠીક વિપક્ષ માટે પણ પ્રેરણાદાયી રાજપુરુષ તરીકે જાણીતા અને માનીતા અટલજીનું રાજકીય જીવન હંમેશા સિદ્ધાંતવાદી, વિચારશીલ અને એકનિષ્ઠ રહ્યું છે. 25 ડિસેમ્બર, 1924ના રોજ ગ્વાલિયરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા અટલજી પહેલેથી જ રાષ્ટ્રવાદના વિચારબીજ લઈને આગળ વધી રહ્યા હતા. એક સાચા સમર્પિત કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ થઈ. સ્થાનિક કક્ષાની નાનીમોટી જવાબદારી સંભાળી અને જોતજોતામાં યુવા અટલનો દેશપ્રેમ અને પ્રતિભા દરેક વ્યક્તિ સુધી પહોંચી ગયા.એ અરસામાં 1951માં ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના કર્યા પછી તેને જનજન સુધી કેવી રીતે પહોંચાડવો એ બહુ મોટો પડકાર હતો. જો જનસંઘની વિચારધારા નાગરિક સુધી પહોંચે તો જ તેનું નામ અને કામ બંને સિદ્ધ થાય એમ હતું. આ કામ માટે ડો. મુખરજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક ગુરુજી પાસે વિચારધારાને વરેલા કાર્યકર્તાઓની મદદની ટહેલ નાંખી, ત્યારે ગુરુજીએ આ જવાબદારીનો કળશ પંડિત દીનદયાળજી તથા અન્ય વરિષ્ઠ સંઘ પ્રચારકોની સાથે અટલજી સહિતના થોડા અગ્રણીઓ ઉપર ઢોળ્યો. અટલજી જાણે દેશની તત્કાલિન પરિસ્થિતિને પલટાવવા પડકાર ફેંકતા હોય એમ કમર કસીને કામે લાગી ગયા. આખા દેશમાં અગણિત પ્રવાસો, અસંખ્ય પ્રવચનો, સેંકડો બેઠકો કે કોઈ હિસાબ વગરના પ્રશ્નોનું નિરાકરણ લાવતા 1968માં તેઓ પ્રથમ વખત ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને 1973 સુધી પ્રમુખપદે રહ્યા.
અટલજીના રાજકીય જીવનમાં આવેલા ઉતારચડાવની વાત થાય છે ત્યારે તેઓ વડાપ્રધાનપદે હતા ત્યારે આવેલા નાટ્યાત્મક વળાંકો કેમ ભૂલી શકાય? દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આ પ્રકારના બનાવો ભૂતકાળ બની ગયા છે. 16 મે 1996ના રોજ અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા તેના તેરમા દિવસે જ વિચારધારાને વળગી રહેવાને કારણે તેનો કાર્યકાળ ખૂબ ટૂંકા સમયમાં સમાપ્ત થઇ ગયો હતો. ત્યારબાદ 1998માં ફરી એક વખત તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને તેર મહિના સુધી વડાપ્રધાન તરીકે રહ્યા. અટલજી માટે સત્તા ક્યારેય રાજનીતિનું કેન્દ્ર નથી રહી. તેમના માટે વિચારધારા જ સર્વોપરી હતી. આજના દિવસે અટલજીની પવિત્ર આત્મા પાસે એટલી જ પ્રાર્થના કરી શકીએ કે તેમનામાં જેવો રાષ્ટ્રપ્રેમ ઘુઘવતો હતો તેની એક સરવાણી આપણામાં પણ સતત વહેતી રહે અને રાષ્ટ્ર નિર્માણના આ અવિરત મહાકાર્યમાં આપણને સતત પ્રેરિત કરતી રહે તેવી તેમના જન્મદિવસે-સુશાસન દિવસે તેઓને ભાવવંદના સાથે અભ્યર્થના રાજુભાઇ ધ્રુવે કરી છે.
- Advertisement -
writter: raju dhruv