ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળામાં આ.શિ. તરીકે ફરજ બજાવતા વિજયભાઈ દલસાણીયાની રાજ્ય પારિતોષિક 2022 માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. વિજયભાઈ દલસાણીયાને અગાઉ પણ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ, મંથન ગ્રુપ મારફત રાષ્ટ્રીય એવોર્ડ અને અત્યાર સુધીમાં 18 જેટલાં સન્માન પ્રાપ્ત થયા છે.
વિજયભાઈ દલસાણીયાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે વર્ગખંડ અને શાળામાં અનેક પ્રવૃત્તિઓ કરાવી છે. મૂલ્યલક્ષી શિક્ષણ, બાળકોની વિચારશક્તિ વિકસે, કલ્પનાશક્તિ ખીલે, તર્કશક્તિ ખીલે તે માટે અત્યાર સુધીમાં રિસેસમાં 900 જેટલી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તદુપરાંત બાળકોની માતૃભાષા શુદ્ધ બને તે માટેના પણ અનેક પ્રયત્નો કર્યા છે.
વર્ગખંડમાં આનંદદાયી શિક્ષણ માટે અનેક શૈક્ષણિક સાધનોનું નિર્માણ કરીને તેના મારફત શિક્ષણ આપવું એ વિજયભાઈ દલસાણીયાની એક આગવી વિશેષતા રહી છે. રોજેરોજની પોતે કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફેસબુકના માધ્યમથી રજૂ કરીને તેઓ રિસેસની પ્રવૃત્તિઓ થકી શિક્ષણજગત અને સમાજમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે તેમજ અનેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બન્યાં છે ત્યારે સાચા અર્થમાં શિક્ષકત્વને ખીલવીને બાળકોના વિકાસ માટે હંમેશાં કાર્યરત એવા વિજયભાઈને આ એવોર્ડ પ્રાપ્ત થતાં ખરેખર સાચા શિક્ષકનું સન્માન થયું છે.