રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં મોટા કાજલીયાળા ગામે શાળા પ્રવેશોત્સવ
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે જિલ્લાના પ્રભારી અને પરિવહન રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરણ-1માં 20 બાળકો અને આંગણવાડીમાં 4 ભૂલકાઓને રંગેચંગે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આમ, આ શાળા પ્રવેશોત્સવમાં નાના ભૂલકાઓનો કલરવથી ગૂંજી ઉઠ્યો હતો.આ ક્ધયા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી શિક્ષણ ક્ષેત્રે પ્રથમ ડગ માંડી રહેલા નાના ભૂલકાઓને આવકાર્યા હતા.
તેમજ ક્ધયા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાના હસ્તે કણજાધાર પ્રાથમિક શાળાનું શાસ્ત્રોક્ત વિધિનુસાર ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શાળા સર્વશિક્ષા અભિયાન હેઠળ રૂપિયા 91 લાખના ખર્ચે નવનિર્માણ પામશે. જે અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે.આ ખાતમૂહૂર્ત વિધિમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.