1 જુલાઇનાં બપોરે 3:30 કલાકે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી માટે જગન્નાથ રથયાત્રા સમિતી દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. 29 જૂનથી લઇને 1 જૂલાઇ સુધી 3 દિવસ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢનાં ગંધ્રપવાડા સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી નિકળનાર 18 મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ નગરચર્યા માટે જોડાશે.તા. 29 જૂનના રાત્રે 9 વાગ્યે સ્વ. મુકુંદભાઇ સૂચક આયોજીત રાધાકૃષ્ણ ભક્તિ સંગીત ગૃપ દ્વાર ભજન સંધ્યા, 30 જૂને સવારે 9 થી સાંજના 4 વિષ્ણુયાગ યજ્ઞ, રાત્રે 8 થી 10 સત્યનારાયણ કથા યોજાશે. 1 જૂલાઇએ મંદિરે સવારે હાંડીભોગ પ્રસાદ, ભગવાનનું શાહી સ્નાન અને બપોરના 3:30 વાગ્યે જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે જેમાં બહેન સુભદ્રા અને ભાઇ બલરામ પણ જોડાઇ નગરચર્યા કરશે. રથયાત્રાના 3 રથને ભાવિકો દોરડા વડે ખેંચશે. બહેન સુભદ્રાના રથને બહેનો દોરડા વડે ખેંચશે.
- Advertisement -
અષાઢી બીજની રાત્રે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રથાયાત્રાને સફળ બનાવવા મોટાપીર બાવા મહંત તનસુખગીરી બાપુના માર્ગદર્શનમાં જનકભાઇ પુરોહિત, નલાભાઇ કોટેચા, ભીખુભાઇ રાઠોડ, મનસુખ વાજા, પી.ટી. પરમાર, નવનીતભાઇ શાહ, બીપીનભાઇ ભટ્ટી, વિજયભાઇ કિકાણી, રાજેન્દ્ર ચુડાસમા, વિરેન્દ્ર શાહ, પ્રફુલભાઇ પોપટ, જગન્નાથ મંદિરના મહંત હિતેશભાઇ વ્યાસ અને ટીમના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રથયાત્રા જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન બાદ સેજનો ઓટો, લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા, પંચહાટડી, આઝાદ ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક, જવાહર રોડ, ભીડભંજન મંદિર થઇ ફરી જગન્નાથ મંદિરે પરત ફરશે.