રાજકોટનાં કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ મારૂ અને તેનાં પરિવાર પર વ્યાજખોરોની સતત દાદાગીરીરાજકોટનાં કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ મારૂ અને તેનાં પરિવાર પર વ્યાજખોરોની સતત દાદાગીરી
મુદ્દલ કરતાં દોઢું વ્યાજ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી બંધ નથી કરતાં
વ્યાજખોરોની સામે દેખાડાં પૂરતાં પગલાં લેવાયા : 151ની કલમ હેઠળ ક્ષણભરમાં જામીન મળ્યા
લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ મારૂ પરિવારનું લોહી ચૂસી લીધું, હવે હાડકાં પણ ચાવી જવા માંગે છે!ખાસ-ખબર સંવાદદાતા
મુદ્દલ કરતાં દોઢું વ્યાજ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી બંધ નથી કરતાં
- Advertisement -
વ્યાજખોરોની સામે દેખાડાં પૂરતાં પગલાં લેવાયા : 151ની કલમ હેઠળ ક્ષણભરમાં જામીન મળ્યા
લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ મારૂ પરિવારનું લોહી ચૂસી લીધું, હવે હાડકાં પણ ચાવી જવા માંગે છે!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનાં ખરીદ, વેંચાણ અને સેવનમાં દૂષણ બાદ એક અન્ય મોટું દુષણ છે, વ્યાજંકવાદ. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા માનવીઓનું લોહી ચૂસી લેતાં ચામડતોડ વ્યાજ વસૂલી કરનાર વ્યાજખોરો સામે રાજકોટ પોલીસે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે પણ આ નંબર માત્ર જાહેરાત પૂરતો જ જરૂરિયાતવાળાઓ માટે નહીં. રાજકોટ પોલીસ મીડિયામાં વ્યાંજકવાદ દૂર કરવાની જાહેરાતો દ્વારા મોટીમોટી વાતો તો કરે છે પરંતુ આ અંગેની જમીની હકિકત કઈક અલગ જ છે. રાજકોટ પોલીસને વ્યાજંકવાદ નાબૂદ કરવામાં જરા પણ રસ ન હોય તેવા કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. વ્યાજના ચંગૂલમાં ફસાઈને આત્મહત્યા કરનારાઓની વધતી સંખ્યા અને બેખોફ બની વ્યાજે પૈસા આપી પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસ વચ્ચે વ્યાજંકવાદ નાબૂદ કરવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું દૃશ્ય ઉપસી રહ્યું છે. રાજકોટ પોલીસે વધતી જતી વ્યાજખોરીનું દૂષણ ડામવા અને વ્યાજંકવાદમાં ફસાયેલા લોકો માટે માત્ર હેલ્પલાઈન નંબર જાહેર કરી સંતોષ માની લીધો છે. હાલમાં જ વ્યાજંકવાદનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે વ્યાજંકવાદ દૂર કરવાની પોલીસની મનસા પર સવાલ અને શંકા ઉભા કર્યા છે.
રાજકોટના કોઠારીયા ગામમાં રહેતા શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને વ્યાજખોરો ધાકધમકી સાથે અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. આ અંગેની ફરિયાદની શૈલેષભાઈ અને ગીતાબેને આજીડેમ પોલીસ સ્ટેશન, રાજકોટ પોલીસ કમિશનરથી લઈ છેક રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી કરી છે છતાં તેમની ફરિયાદ પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ આ કેસમાં સર્જાઈ રહ્યો છે, પોલીસ ફરીયાદીની જગ્યાએ જેમના પર ફરિયાદ થઈ છે તેવા આરોપી વ્યાજખોરોનો પક્ષ તાણી રહી છે. ફરીયાદી શૈલેષભાઈ મારુ અને તેમની પત્ની ગીતાબેન પાસે વ્યાજખોરો વિરુદ્ધ તમામ નક્કર પુરાવાઓ હોવા છતાં પોલીસ વ્યાજખોરો પર સામાન્ય 151ની કલમ લગાવી છોડી મૂકે છે જેથી વ્યાજખોરો જામીન પર છૂટી ફરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી શકે! શૈલેષભાઈ જેવા નિર્દોષ લોકોને વ્યાજની ચંગુલમાં ફસાવી શકે તે માટે સામાન્ય કલમ લગાવી વ્યાજખોરોને છોડી દીધા છે કે પછી રમેશભાઈ પાસેથી ઉઘરાવેલી વ્યાજની અમુક રકમ વ્યાજખોરોએ પોલીસને પણ આપી છે? જો આ કેસ પર ઊચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ હાથ ધરે તો કેટલાય ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે તેમ છે.
- Advertisement -
બનાવની વિગત અનુસાર, શૈલેષભાઈ મારુ ભાગીદારીમાં નાના પાયે મકાન બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. મકાન બાંધકામના વ્યવસાયમાં પૈસાનું રોકાણ કરવા માટે તેમણે રમેશ સાટોડિયા, લાભુ છૈયા, રમેશ ડેર, વારસુર આહિર, એભલ આહિર, કવા ભરવાડ, ઘેલા પરસાણા, રોનક પટેલ, ભાવેશ પંડ્યા, પ્રફુલ સોલંકી, નરોત્તમ વાઢેર, ભાવેશ ખાટરીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજના પૈસાના બદલામાં શૈલેષભાઈ મારુએ અલગ-અલગ લખાણ કરી છેક અને જમીન-મકાનના કાગળિયાં આપ્યા હતા. જે પૈકી મોટાભાગના વ્યાજે પૈસા જેમની પાસેથી લીધા હતા તેમને પૈસા ચૂકવી આપ્યા છે. આ વિશેનું શૈલેષભાઈ મારુ પાસે સંપૂર્ણ લખાણ અને પુરાવાઓ છે. આમ છતાં લાભુ છૈયા અને રમેશ સાટોડિયા નામના વ્યક્તિઓ વધુ વ્યાજ ઉઘરાવવા શૈલેશભાઈ મારુ અને તેમની પત્ની ગીતાબેન મારુને હેરાન-પરેશાન કરી રહ્યા છે.
શૈલેષભાઈ મારુએ લાભુ છૈયા પાસેથી 12 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેઓએ વ્યાજ સહિત 20 લાખ 87 હજાર રૂપિયા લાભુ છૈયાને પરત ચૂકવી દીધા છે. એ જ રીતે રમેશ સાટોડિયા પાસેથી શૈલેષભાઈ મારુએ 61 લાખ 12 હજાર 500 રૂપિયા લીધા હતા. જેના બદલામાં તેઓએ વ્યાજ સહિત 74 લાખ 73 હજાર 500 રૂપિયા રમેશ સાટોડિયાને પરત ચૂકવી દીધા છે. આમ છતાં લાભુ અને રમેશની વ્યાજખોરીની ભૂખ સંતોષાતી જ નથી. શૈલેષભાઈ મારુએ પૈસાના બદલમાં ગીરવે મૂકેલી આશરે 30 લાખ રૂપિયાની બે પ્રોપર્ટી ફાઈલ પરત આપતા નથી અને આ બંને વ્યાજખોરો લાભુ અને રમેશ યેનકેન પ્રકારે રમેશભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને વધુ વ્યાજ ચૂકવવા ડરાવી-ધમકાવી રહ્યા છે. આ અંગેની ફરિયાદ શૈલેશભાઈ મારુ અને તેમની પત્ની ગીતાબેન મારુએ આજીડેમ પોલીસ સ્ટેશન, રાજકોટ પોલીસ કમિશનરથી લઈ છેક રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી કરી છે છતાં તેમની ફરિયાદ પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
વ્યાજખોરો સામે અસરકારક ઝૂંબેશ ચાલુ છે: CP ખુર્શીદ અહેમદ
રાજકોટનાં કાર્યદક્ષ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસની વ્યાજખોરો વિરૂદ્ધની લડત અસરકારક નિવડી રહી છે. આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કુલ 29 ફરિયાદ મળી છે, જેમાંથી આઠ ફરિયાદોમાં સુલેહપૂર્ણ સમાધાન પોલીસે કરાવી આપ્યું છે. બાકીની ફરિયાદોમાં પણ ઝડપથી કાર્યવાહી આગળ વધી રહી છે. કમિશનર ખુર્શીદ અહેમદ શૈલેભાઈ મારૂનાં કેસમાં પણ પૂરતો રસ લેશે તેવી લોકોને અપેક્ષા છે.
કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્ર લખી ભલામણ કરી છતાં પરિણામ શૂન્ય!
વ્યાજખોરોથી કંટાળી ગયેલા શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુએ કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાને સમગ્ર વિગત જણાવી હતી જે અંગે કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ એક પત્ર લખી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સમગ્ર કેસ અંગે ન્યાયિક તપાસ કરાવવા માટે ભલામણ કરી હતી. હર્ષ સંઘવીએ પણ રાજકોટ પોલીસને આ અંગે ન્યાયિક તપાસ કરાવવા સૂચના આપેલી હતી. દેશના કેન્દ્રીયમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રીએ શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુના કેસ અંગે ભલામણ કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. આજીડેમ પોલીસ ભેદી કારણોસર શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુની ફરિયાદમાં રસ દાખવી કોઈ કાર્યવાહી કરી રહી નથી.
લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ માણસાઈની હદ વટાવી દીધી
શૈલેષભાઈ મારુને ધંધામાં આર્થિક જરૂરિયાત હોવાથી લાભુ છૈયા અને રમેશ સાટોડિયા પાસેથી લાખો કુલ મળી આશરે 75 લાખ રૂપિયા લીધા હતા અને આ રૂપિયાના બદલમાં તેમણે વ્યાજ સહિત આશરે એકાદ કરોડ જેટલી રકમ પરત કરી દીધી છે. મૂળ રકમ અને વ્યાજ મળી ચૂક્યું હોવા છતાં વ્યાજમાફિયા લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ માણસાઈની હદ વટાવી દીધી છે અને તેઓ શૈલેષભાઈ મારુ તથા તેમના પત્ની ગીતાબેન મારુને ફોન પર તથા રૂબરૂમાં મળીને અવારનવાર ધાકધમકીઓ આપે છે. વ્યાજમાફિયા લાભુ અને રમેશ પોતાના માણસો શૈલેષભાઈના ઘર બહાર બેસાડે છે અને તેમની તમામ દિનચર્યા પર નજર રાખે છે. લાભુ અને રમેશ પર જો કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવે તો બની શકે આ વ્યાજમાફિયાઓના ત્રાસથી કંટાળીને શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુ કોઈ અઈચ્છનીય પગલું ભરી બેસે.
બધાએ કહ્યું પગલા લેશું, કોઈએ વ્યાજખોરો સામે પગલાં ભર્યા નહીં
વ્યાજંકવાદથી પીડિત શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુએ આજીડેમ પોલીસ પીઆઈ, રાજકોટ ડીસીપી, સીપીથી લઈ છેક રાજ્યના હોમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર સુધી પોતાની યાતના પુરાવાઓ સહિત રજૂ કરી છે અને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવાની વિનંતી કરી છે. બધાએ વ્યાજખોરો વિરુદ્ધ પગલા લેશું તેવી બાહેંધરી આપી હતી પરંતુ આજ સુધી શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને માનસિક ત્રાસ આપતા વ્યાજખોરો સામે પગલા ભર્યા નથી. એટલું જ નહીં પરંતુ શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને હેરાન-પરેશાન કરતા વ્યાજખોરો લાભુ છૈયા અને રમેશ સાટોડિયાને સ્થાનિક પોલીસ છાવરી રહી છે.
વ્યાજમાફિયાઓ કેવી રીતે અને શા માટે છટકી જાય છે?
રાજકોટના નાગરિકો આર્થિક જરૂરીયાત કે કોઈને કોઈ કારણોસર નાછૂટકે વ્યાજે નાણા લેતાં હોય છે અને વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાય છે. આરંભે ઓછા ટકે કે દરે વ્યાજે નાણા ધીર્યા બાદ આવા વ્યાજખોરો પોતાનો અસલી રંગ બતાવી વધુ વ્યાજ વસૂલે અથવા તો જો વ્યાજ મુદલ ન ચૂકવે તો મિલ્કતો પણ હડપ કરી લેતાં હોય છે. ઘણાખરા કિસ્સામાં વ્યાજનું વ્યાજ લગાવી રકમનો આંક જ એવડો કરી નાખે કે વ્યાજે નાણા લેનાર માટે ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ થઈ પડે છે. કેટલાંક આવા કિસ્સાઓમાં ધાકધમકી, હુમલાઓ કે રોજીંદા ત્રાસને લઈને વ્યાજે નાણા લેનારો જીવન ટૂંકાવી નાખવા સુધી મજબૂર બની જાય છે. રાજકોટમાં વ્યાજંકવાદ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજકોટ પોલીસે વ્યાજંકવાદથી પીડિતો માટે હેલ્પલાઈન નંબર તો જાહેર કર્યો છે પણ આરોપીને 151 હેઠળ તત્કાળ જામીન મળી જતાં હોય તો આ વ્યવસ્થા વ્યર્થ ગણાય. વ્યાજે પૈસા લેનાર પાસેથી મૂળ રકમ પર બમણું વ્યાજ વસૂલતા અને વ્યાજની બમણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજે પૈસા લેનારને વધુ પૈસા આપવા માટે હેરાન-પરેશાન કરતા વ્યાજખોરો પર ફરિયાદ થાય છે ત્યારે પોલીસ વ્યાજખોરો પર માત્ર અટકાયતી પગલાની કલમ 151 લગાવી છોડી મૂકાય છે. કલમ 151 પર આસાનીથી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે. આમ, વ્યાજખોરો પર સામાન્ય અટકાયતી પગલાની કલમ લગાવાતી હોવાથી અને પળભળમાં તેઓ જામીન પર છૂટી જતા હોવાથી બેખોફ બની જાય છે. જો વ્યાજખોરો પર કડક કાર્યવાહી કરી બિનજામીનપાત્ર કે પાસા જેવાં ગંભીર ગુનાની કલમ લગાવવામાં આવે તો વ્યાજંકવાદ દૂર કરી શકાય તેમ છે, વ્યાજખોરીને ડામી શકાય તેમ છે.
વ્યાજમાફિયાને તો છોડી મૂકે છે, ચેક-દસ્તાવેજ પણ પરત અપાવતાં નથી
રાજકોટ પોલીસ તોતિંગ વ્યાજે પૈસા દેતા અને મૂળ રકમ કરતા બમણું વ્યાજ વસૂલતા વ્યાજમાફિયા પર સામાન્ય અટકાયતી પગલાની કલમ 151 લગાવી છોડી મૂકે છે એટલું જ નહીં પરંતુ વ્યાજે પૈસા લઈ ચેક-દસ્તાવેજ આપનારા ફરિયાદીઓના કાગળ પણ પરત અપાવતા નથી. રાજકોટના શૈલેષભાઈ મારુની ફરિયાદમાં પણ આવું જ થયું છે. શૈલેષભાઈ મારુએ ધંધામાં પૈસાની જરૂર હોવાથી ચેક-દસ્તાવેજ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા હતા, હવે જ્યારે શૈલેષભાઈ મારુએ મૂળ રકમ સહિત બમણું વ્યાજ ચૂકવી દીધું છે ત્યારે પણ વ્યાજમાફિયા લાભુ છૈયા અને રમેશ સાટોડિયા વધુને વધુ વ્યાજ ખંખેરવા શૈલેષભાઈ મારુને પ્રોપર્ટી ફાઈલ પરત આપતા નથી. આ વિશે શૈલેષભાઈ મારુએ રાજકોટના વિવિધ પોલીસ અધિકારીઓને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં દર વખતે રાજકોટ પોલીસ વ્યાજમાફિયા લાભુ છૈયા અને રમેશ સાટોડિયાને સામાન્ય પૂછપરછ કરી છોડી મૂકે છે અને તેમની પાસેથી શૈલેષભાઈ મારુને તેમના ચેક-દસ્તાવેજ પણ પરત અપાવતા નથી.