વોટર હાર્વેસ્ટિંગએ આજના સમયની અનિવાર્યતા
22મી માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. પાણી કેટલું અગત્યનું છે એના વગર પૃથ્વીનું શું થાય એ સમજાવવાની જરૂર કોઈને નથી. એક બાળકને પણ ખબર છે કે જળની જરૂરત અને અનિવાર્યતા શું છે અને તેમ છતાં એના બચાવ માટેની જાગૃતિનો અભાવ સદંતર જોવા મળે છે. એક વાત ખાસ યાદ રાખીએ કે, પાણીનો બચાવએ આપણે આપણા પછીની પેઢી માટે સંપત્તિનું સર્જન કરીએ એવી જ પ્રવૃત્તિ છે. આજે વધતી માનવ વસ્તીની વચ્ચે જળસ્ત્રોત ખૂટી રહ્યા છે. ત્યારે અન્ડરગ્રાઉન્ડ વોટર હાર્વેસિ્ંટગ – ભૂગર્ભ જળસ્ત્રોત ઉભા કરીને પાણીનો સંગ્રહ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે.
પ્રશ્ર્ન એ થાય કે પાણીનો બચાવ કેમ કરવો કારણ બધી નદીઓ બારમાસી હોતી નથી. બધા જળાશયમાં બારેમાસ પાણી ન રહે. જમીન એને શોષી લે અને બાષ્પીભવનથી પાણી વરાળ બનીને ઊડી જાય. તો પછી એને સાચવવું કેમ, અન્ડરગ્રાઉન્ડ વોટર હાર્વેસિ્ંટગ-ભૂગર્ભજળસ્ત્રોત ઉભા કરવા પાણીનો સંગ્રહ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ આપણે તો ડંકી બોર કરીને એ પાણી પણ ઉલેચી લીધું છે. કુદરત પાસેથી આપણે લઈએ એ એને પરત પણ આપવું જોઈએ. માટે વોટર હાર્વેસ્ટિંગ જરુરી છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાએ આ દિશામાં અગાઉ પણ કામ કર્યું હતું. જ્યારે રાજકોટમાં પાણીની કારમી તંગી હતી ત્યારે ડંકી-બોરવેલ કર્યા હતા પરંતુ પછી તો સૌની યોજના થોડા સમય પહેલાં આવી, નર્મદાનીર ભારતીય જનતા પાર્ટીની સરકારે પહોંચાડ્યાં એટલે લોકોના ઘરે જ પર્યાપ્ત પાણી પહોંચ્યું. આ સૌની યોજનાના સ્વપ્નદૃષ્ટતા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે કટિબદ્ધ નક્કર આયોજન કરવામાં આવી રહયુ છે. વોટર હાર્વેસ્ટિંગ માટે અલગથી બજેટ પણ ફાળવવામાં આવ્યું, પરંતુ આજે પાણીની તંગી ન હોય એનો અર્થ એવો નથી કે કાલે પણ ઊભી નહીં થાય. વપરાશ વધશે એટલે પાણી ઘટશે. મહાપાલિકા મોટા પાયે વોટર હાર્વેસ્ટિંગ આ કામ હવે હાથ ધરી રહી છે.

રાજકોટમાં અત્યારે મહાનગરપાલિકાની માલિકીના 1426 હેન્ડપંપ છે જેમાંથી 480 બંધ છે. આ બંધ કે સૂકાઈ ગયેલા હેન્ડપંપ ફરી શરુ કરવા માટે ભૂગર્ભ જળ સંચય કરવામાં આવશે. મહાનગરપાલિકાના બિલ્ડીંગ, વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્રો તેમજ તમામ સ્કુલના બિલ્ડીંગમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય એમ છે. વરસાદી પાણી ગટર કે વોકળામાં વહી જતું અટકે અને ભૂગર્ભમાં ઉતરે એ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને અમે જળસંચય કરવાના છીએ.
માત્ર સરકારી ધોરણે જ આ કામ થાય એવું નથી દરેક વ્યક્તિએ છત અગાસી ના વરસાદી પાણી ને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટેની વ્યવસ્થા બનાવી જોઈએ, વરસાદી પાણીનો બગાડ અટકાવીને એને ભૂગર્ભમાં ઉતારવાની અનેક વૈજ્ઞાનિક-ટેક્નિકલ પદ્ધતિઓ છે જેનો અભ્યાસ પણ થઈ ગયો છે. આગામી ચોમાસાંમાં આ કાર્ય વેગવંતુ બનાવાશે, મહાનગરપાલિકા તો એમાં સક્રિય રહેશે જ પરંતુ આખરે આ રાજકોટનો પ્રશ્ર્ન છે અને એના માટે રાજકોટવાસીઓ પણ આગળ આવે, લોકો પોતે પોતાના ઘરની છત કે ફળિયાંમાંથી પાણી વહેતું અટકાવીને એનો સંગ્રહ કરે તો ભૂગર્ભજળસ્ત્રોત વધારે મજબૂત બને અને તો પાણીની અછત સામે આપણે લડી શકીએ.
- Advertisement -
પાણીનું મહત્વ રાજકોટને સમજાવવાનું ન હોય. આ એજ રાજકોટ છે જ્યાં ત્રણ દિવસે એક વાર પાણી આવતું , જ્યાં લોકો ટેન્કરની લાઈનમાં ઊભા રહેતા અને પાણી માટે ખાડા ગાળતા. હવે એવા દિવસો આપણે નવી પેઢીને આપવા નથી એટલે પાણીનો બચાવ કરવો જરુરી છે. આવો વિશ્વ જળ દિવસે આપણે સંકલ્પ કરીએ કે પાણીનો બગાડ નહીં કરીએ અને વરસાદી પાણીને જમીનમાં ઉતારીને એનો સંગ્રહ કરશું. કુદરતના સ્ત્રોતને વેડફશું નહીં.
– દેવાંગ માંકડ
(ચેરમેન વોટર વર્ક્સ સમિતિ,
રાજકોટ મહાનગરપાલિકા)


