2.20 કરોડના ખર્ચે જૂના આર્ક ટાઇપ ક્લવર્ટનું નવીનીકરણ
એક વર્ષથી બંધ માર્ગ ખુલ્લો થતાં લીમડા ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ જતાં વાહનચાલકોને દોઢ કિલોમીટરના વધારાના ફેરામાંથી મુક્તિ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા હરિહર ચોક ખાતે જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં
આવી છે. અંદાજે રૂ. 2.20 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ મહત્વપૂર્ણ કામનું લોકાર્પણ થતાં છેલ્લા એક વર્ષથી વાહનવ્યવહાર માટે બંધ રહેલો હરિહર ચોક હવે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. માર્ગ ખુલ્લો થતાં લીમડા ચોકથી
ચૌધરી હાઈસ્કૂલ તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકોને દરરોજ દોઢ કિલોમીટર સુધીના વધારાના ફેરામાંથી રાહત મળી છે. હરિહર ચોક બોક્સ કલવર્ટના લોકાર્પણ પ્રસંગે રાજકોટના મેયર, ધારાસભ્ય, શહેર ભાજપ
પ્રમુખ સહિતના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સાથે એક વર્ષથી બંધ રહેલો માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.
હરિહર ચોક ખાતે જૂનું ક્લવર્ટ જર્જરિત બની જતાં તેની જગ્યાએ નવું બોક્સ કલવર્ટ અને રિટેઈનિંગ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બાંધકામની જટિલ કામગીરી દરમિયાન વાહનચાલકો તેમજ
રાહદારીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે માર્ગ પર વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો. પરિણામે આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવે ક્લવર્ટનું
કામ પૂર્ણ થઈ માર્ગ ખુલ્લો મુકાતા સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, સદર બજાર, હોસ્પિટલ ચોક અને ચૌધરી
હાઈસ્કૂલ તરફ જતા લોકોને અગાઉની સરખામણીએ વધુ સરળતાથી પોતાના સ્થળ સુધી પહોંચી શકાશે.
હરિહર ચોક ખાતે ક્લવર્ટની કામગીરી ચાલી રહી હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામા અંતર્ગત કાશી વિશ્વનાથ મેઈન રોડથી હરિહર ચોક તરફ
જતાં બંને તરફના માર્ગો વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. કામગીરી દરમિયાન લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહનચાલકોની સુવિધા
માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે આ ડાયવર્ઝનના કારણે રોજિંદી અવરજવરમાં વાહનચાલકોને વધારાનો સમય અને ઈંધણ ખર્ચવું પડતું હતું. લીમડા ચોક અને પંચનાથ મંદિર રોડથી હરિહર ચોક થઈ
ચૌધરી હાઈસ્કૂલ તરફ જવા માગતા વાહનોને હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબિલી ગાર્ડન ચોક અને જવાહર રોડ તરફથી ફરીને જવું પડતું હતું. આ ઉપરાંત હરિહર ચોકથી સદર પોલીસ ચોકી, સદર વન-વે, ફૂલછાબ ચોક, આર-વર્લ્ડ
સિનેમા, શારદાબાગ સ્થિત આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક, ભીલવાસ ચોક અને કાશી વિશ્વનાથ મેઈન રોડ થઈને વાહનવ્યવહાર કરવામાં આવતો હતો. આ વૈકલ્પિક માર્ગોના કારણે વાહનચાલકોને દરરોજ અંદાજે 1થી 1.5
કિલોમીટર સુધીનો વધારાનો ફેરો ફરવો પડતો હતો. ખાસ કરીને સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હતું. હવે હરિહર ચોક ખુલ્લો મુકાતા આ વધારાની અવરજવર ઘટવાની સાથે
વાહનચાલકોને સમય અને ઈંધણની બચત થવાની શક્યતા છે.
- Advertisement -
લોકાર્પણ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, શહેરના હરિહર ચોક ખાતે ચાલી રહેલા બોક્સ કલવર્ટનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. કામનું લોકાર્પણ થતાં દરરોજ અહીંથી પસાર થતા
હજારો વાહનચાલકોને રાહત મળશે. મેયરે વધુમાં જણાવ્યું હતું કે, નવા બોક્સ કલવર્ટના નિર્માણથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકશે, જેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના નિવારણમાં પણ મદદ મળશે.
માર્ગવ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ કામથી સ્થાનિક વિસ્તારને ઉપયોગી માળખાકીય સુવિધા મળી છે.
કામની સંપૂર્ણ વિગતો દર્શાવતું બોર્ડ લગાવાયું
મેયર ડો. નેહલ શુક્લાએ જનરલ બોર્ડમાં લેવાયેલા નિર્ણય અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ક્લવર્ટના કામ અંગે કયા કોન્ટ્રાક્ટરે કામગીરી કરી, ક્યારે કામ શરૂ થયું, ક્યારે પૂર્ણ થયું, કેટલો ખર્ચ
થયો અને કયા સમયગાળા સુધી કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે તે સહિતની વિગતો દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ પ્રકારની વિગતો જાહેર કરવાથી નાગરિકોને વિકાસકાર્યો અંગે માહિતી મળી રહે અને કામગીરીમાં
પારદર્શિતા જળવાઈ રહે તેવો હેતુ છે. મેયરે જણાવ્યું હતું કે, હવે પછી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનારા તમામ કામોમાં પણ આ પ્રકારે વિગતો દર્શાવતા બોર્ડ લગાવવામાં આવશે.




