ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત 18મા વર્ષે ભવ્ય આયોજન
આજે બાળકો માટે આર્ટ સ્પર્ધા અને અથર્વશીર્ષ પાઠ યોજાશે : નવી વેબસાઇટ લોન્ચ કરાઈ
- Advertisement -
રાજકોટ કા મહારાજાની પ્રથમ આરતી કરી વિઘ્નહર્તાના આશીર્વાદ લેતા શુક્લ -ભારદ્વાજ પરિવાર
ભારતભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાતા ગણેશોત્સવ પર્વની રંગીલા રાજકોટ શહેરમાં અત્યંત ધાર્મિક અને દિવ્ય માહોલમાં શરૂઆત થઈ છે. શહેરના હાર્દ સમાન ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકી પાછળ ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત ૧૮મા વર્ષે ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસથી જ સમગ્ર પંડાલ અને આસપાસનો પરિસર ગણપતિ બાપ્પાના ગગનભેદી જયઘોષ, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિના રંગે રંગાઈ ગયો હતો.
મહોત્સવના પ્રથમ દિવસે સાંજે ૫:૦૦ કલાકે વિઘ્નહર્તા સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની વાજતે-ગાજતે ભવ્ય પધરામણી કરવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલ અને જયઘોષ વચ્ચે બાપ્પાને મહોત્સવ સ્થળે બિરાજમાન કરાયા હતા. શાસ્ત્રીજી દ્વારા કરાયેલા પવિત્ર વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ઝળહળી ઊઠ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ગણેશજીની દિવ્ય અને તેજસ્વી પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાત્રે ૮:૦૦ કલાકે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં અમદાવાદના પ્રભારી અને બ્રહ્મ સમાજના અગ્રણી કશ્યપભાઈ શુક્લ, બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શિતભાઈ જાની, ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્વાજ, ઔદીચ્ય ઝાલાવાડ પ્રમુખ ડો. અતુલભાઈ વ્યાસ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના હોદ્દેદારો અને ભૂદેવ સેવા સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહી ગણેશજીની આરતી ઉતારી હતી. આ અવસરે પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયરૂપે કશ્યપભાઈ શુક્લાના હસ્તે ભૂદેવ સેવા સમિતિની નવી અધિકૃત વેબસાઈટનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટ થકી સમિતિની વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો સમાજના લોકો સુધી ઝડપથી પહોંચી શકશે. મહોત્સવના બીજા દિવસે તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને સંસ્કારોને ઉજાગર કરવા માટે ક્રિએટિવ આર્ટ તેમજ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ સાંજે ૬:૩૦ કલાકે પહોંચવાનું રહેશે. ત્યારબાદ રાત્રે ૮:૦૦ કલાકે મહાઆરતી અને રાત્રે ૯:૦૦ કલાકે સામૂહિક શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાવન પાઠનું આયોજન કરાયું છે. ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકોને બહોળી સંખ્યામાં પધારી દર્શન તથા કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.




