રેખા પટેલ – ડેલાવર (USA) : લેટ્સ ટૉક
કાગળ પર માત્ર મિલકત કે પ્લોટ ગણાતું ઘર વાસ્તવમાં વર્ષોની મહેનત, બચત અને યાદોનું જીવંત સરનામું હોય છે
- Advertisement -
ગેરકાયદે બાંધકામના નામે બુલડોઝર ફરે ત્યારે માત્ર દીવાલો નથી તૂટતી, આખી જિંદગીની સુરક્ષા છીનવાઈ જાય છે
શહેરો માત્ર ઇમારતો કે રસ્તાઓથી નહીં પરંતુ માણસોથી બને છે, ડિમોલિશન વખતે વૈકલ્પિક રહેઠાણ આપવું જરૂરી
માનવ હોય કે પશુ-પક્ષી, દરેક જીવની સ્વાભાવિક ઈચ્છા હોય કે એવું એક રહેઠાણ મળે, જેને તે ‘ઘર’ કહી શકે.
પક્ષી આખો દિવસ આકાશમાં ઊડે છે, પરંતુ સાંજ પડતાં તેને પોતાના માળાની યાદ આવે છે. એક-એક તણખલું ભેગું કરીને તે પોતાનું માળું બનાવે છે. પવન તણખલાં ઉડાવી જાય કે વરસાદ એને ભીંજવી નાખે, છતાં તે ફરી પ્રયત્ન કરે છે; કારણ કે એને પોતાનું ઘર બનાવવું છે. માનવીની લાગણી પણ કંઈક એવી જ છે. ઘરનું સ્વપન આંખોમાં આવે ત્યારથી વર્ષોની મહેનત શરૂ થાય છે. કોઈ પોતાની જરૂરિયાતો ટાળીને બચત કરે છે, કોઈ દિવસ-રાત મહેનત કરે છે, તો કોઈ પોતાની અનેક ઈચ્છાઓનું બલિદાન આપે છે. ઈંટ, સિમેન્ટ, લોખંડ અને લાકડાં સાથે એ ઘરમાં માણસનો સમય, ચિંતા, આશા, મહેનત સાથે અસંખ્ય સ્વપનાઓ જોડાતાં જાય છે.
મોટું મકાન સમાજમાં કદાચ મહત્તા અને વર્ચસ્વનું પ્રતીક બની શકે, પરંતુ ખુશી અને સંતોષ માટે ઘરની ઊંચાઈ કે કદ કરતાં તેમાં વસતો પ્રેમ અને વિશ્વાસ વધારે મહત્વનો હોય છે. ભવ્ય મકાનમાં પણ એકલતા હોઈ શકે અને નાનકડા ઘરમાં ઓછા પૈસા હોવા છતાં હાસ્ય અને સંતોષ છલકાઈ શકે. ઘરની સાચી કિંમત કદાચ ત્યારે સમજાય છે જ્યારે એ ઘર આપણી પાસે રહેતું નથી. કુદરતી આફતોમાં જ્યારે અસંખ્ય ઘરો જમીનદોસ્ત થાય છે, જ્યારે પૂરનાં પાણીમાં આખાં ગામ વહી જાય છે ત્યારે ઘર ગુમાવનારમાણસની મનોદશા કિનારે ઊભેલા ને ક્યારેય પૂરેપૂરી સમજાતી નથી.
- Advertisement -
ઘર ગુમાવનારને એ જ કાટમાળમાં પોતાનું આખું જીવન દેખાય છે. જે ઘર ગઈકાલ સુધી આશ્રય હતું, એ આજે માત્ર માટી અને ઈંટોનો ઢગલો બની ગયું હોય છે. માણસ ફરીથી મકાન ઊભું કરી શકે છે, પરંતુ જે ઘર સાથે તેનું જીવન જોડાયેલું હતું, એ ખાલીપો સહજમાં ભરાતો નથી. માણસ માત્ર રહેવા માટેની જગ્યા ગુમાવતો નથી, પરંતુ પોતાની જિંદગીનો એક અંશ ગુમાવી બેસે છે. હમણાં આઠ વર્ષ પહેલાની હિન્દી વેબ સિરીઝ હોમ ફરી જોઈ. વર્ષો પહેલાં જોયેલી આ સિરીઝ ફરી જોઈ ત્યારે લાગ્યું કે વાર્તા એ જ છે, પાત્રો એ જ છે, પરંતુ એને જોવાની દૃષ્ટિ કદાચ બદલાઈ ગઈ છે. ઘર તો માણસના જીવનનો એ ભાગ છે જ્યાં એની અનેક વર્ષોની યાદો, સંબંધો, લાગણીઓ અને સંઘર્ષો એકઠા થતા જાય છે. મકાન ઊભું કરવામાં સિમેન્ટ, ઈંટો, લોખંડ અને પૈસા લાગે છે; પરંતુ ઘર બનવામાં વર્ષો લાગે છે.
વાર્તામાં પણ અનેક પરિવારોની વાત દર્શાવાઈ છે. પરિવાર એવા જ કે એમનું બાળપણ, યુવાની અને જીવનના બે દાયકાથી વધુ સમય અહીનાઅપાર્ટમેન્ટમાં પસાર થયો છે. વીસ-બાવીસ વર્ષ કોઈ નાની અવધિ નથી. આટલા વર્ષોમાં એક મકાન માત્ર રહેવાની જગ્યા રહેતું નથી; એ પરિવારોના જીવનનો સાક્ષી બની જાય છે. પરંતુ એક દિવસ ખબર પડે છે કે જે સોસાયટીને આપણે વર્ષોથી પોતાનું ઘર માનતા આવ્યા છીએ, એ ગેરકાયદેસર બાંધકામ પર ઊભી છે અને હવે આખું મકાન તૂટી શકે છે. કાયદાની નજરે કદાચ એ એક ગેરકાયદેસર બાંધકામ છે. સરકારી કાગળમાં એ એક મિલકત છે. નકશામાં એ એક પ્લોટ છે. પરંતુ ત્યાં રહેતા લોકોની નજરે એ તેમનું ઘર છે.એમની જિંદગી છે. મકાન બચાવવાની નહીં, જીવન બચાવવાની લડાઈ, આપણને અંદરથી સ્પર્શી જાય છે.
ઘર બચાવવા માટેની દોડધામ, કચેરીઓના ધક્કા, અધિકારીઓને મળવાની કવાયત અને આશા-નિરાશા વચ્ચે ઝૂલતા લોકો – આ બધું જોતા શરૂઆતમાં લાગે કે લોકો માત્ર એક મકાન બચાવવા માટે લડી રહ્યા છે. પરંતુ થોડું ઊંડું જઈને જોઈએ તો સમજાય છે કે તેઓ માત્ર મકાન બચાવવાનથી દોડી રહ્યા. તેઓ પોતાનું જીવન બચાવવા દોડી રહ્યા છે.પોતાની યાદો બચાવવા દોડી રહ્યા છે. મધ્યમવર્ગીય માણસ માટે પોતાનું ઘર ઘણી વખત જીવનનું સૌથી મોટું સ્વપન હોય છે. વર્ષોની કમાણી, બચત, લોનના હપ્તા, પોતાની ઇચ્છાઓ પર મૂકેલાકાપ અને પરિવારના ભવિષ્ય સાથે કરેલા અનેક સમાધાનો પછી એક ઘર ઊભું થાય છે. એટલે જ્યારે ઘર પર સંકટ આવે છે ત્યારે માત્ર ઈંટો અને સિમેન્ટ પર સંકટ આવતું નથી. માણસની આખી જિંદગીની કમાણી, મહેનત અને સુરક્ષાની ભાવના પર સંકટ આવે છે. બજાર કહી શકે કે આ મકાન આટલા કરોડનું છે. પરંતુ એ ઘરમાં રહેનાર માટે એની કિંમત કદાચ કોઈ આંકડામાં આવી શકે નહીં. કારણ કે બહાર મકાનની કિંમત ગણી શકે છે, પરંતુ ત્યાં વિતાવેલા બાળપણની ત્યાં જીવાએલી જિંદગીની, દિવાળી, જન્મદિવસ, લગ્ન, બીમારી, દુઃખ અને ખુશીના અસંખ્ય પ્રસંગોની કિંમત ગણી શકાતી નથી. એટલે જ જ્યારે બુલડોઝર ઘા કરે અને ઘર તૂટે ત્યારે માત્ર દીવાલો તૂટતી નથી. એક દુનિયા તૂટે છે. માણસની અંદર પોતાનું ઘર બનાવવાની ઈચ્છા કેટલી તીવ્ર હોય છે, એ કદાચ એ માણસ જ સમજી શકે જેણે વર્ષો સુધી એ ઘરનું સ્વપન જોયું હોય. પગાર મળ્યા પછી પોતાના માટે શું રાખવું અને ઘરના હપ્તા માટે કેટલું બચાવવું, એ ગણતરીમાં જ ઘણા લોકોની જિંદગી પસાર થઈ જાય છે. પોતાની અનેક નાની-મોટી ઈચ્છાઓને પાછળ રાખીને, લોનના હપ્તા ભરતાં-ભરતાં, વર્ષોની મહેનત અને પરસેવાથી માણસ એક છત ઊભી કરે છે. એ સમયે તે માત્ર મકાન નથી બનાવતો; તે પોતાના પરિવાર માટે એક સુરક્ષિત દુનિયા બનાવતો હોય છે.
ઘરનો છેલ્લો હપ્તો ભરાઈ જાય ત્યારે કદાચ માણસને સૌથી વધારે સંતોષ એ વાતનો હોય છે કે હવે આ જગ્યા ખરેખર મારી છે. કોઈ ક્યારે ઘર ખાલી કરવાનું નહિ કહે, મારા બાળકોના બાળકો અહી મોટા થશે, આ જ ઘરમાંથીમારી અંતિમ વિદાય થશે – આવી અનેક લાગણીઓ ઘર સાથે જોડાયેલી હોય છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ એવી બને કે એ જ ઘર છોડવું પડે, ત્યારે માણસની અંદર શું ચાલે છે એ બહારથી જોનાર માટે સમજવું મુશ્કેલ છે. (જો ઘર પોતાની ઈચ્છાથી નહીં, પરંતુ કોઈના આદેશથી, દબાણથી કે બહાર હાંકી કાઢવાની ફરજિયાત પરિસ્થિતિથી છોડવું પડે, તો એ પીડા અનેકગણી વધી જાય છે. વર્ષો સુધી જે દરવાજો પોતાનો હતો, ત્યાંથી જ અજાણ્યામાણસની જેમ બહાર નીકળવું પડે ત્યારે માત્ર સરનામું બદલાતું નથી; માણસની અંદર રહેલી સુરક્ષાની એક મોટી લાગણી પણ તૂટી પડે છે. (સૌથી કઠિન ક્ષણ કદાચ એ હોય છે જ્યારે માણસ છેલ્લી વાર પોતાના ઘરને પાછળ વળીને જુએ છે. જે ઘર મેળવવા માટે તેણે જીવનના કેટલાંક શ્રેષ્ઠ વર્ષો ખર્ચી નાખ્યાં, એ જ ઘર હવે પોતાનું નથી રહ્યું.
ઘર માણસે બનાવ્યું હોય છે, પરંતુ સમય જતાં ઘર માણસને બનાવે છે. એટલે જ્યારે માણસને એ ઘરમાંથી બહાર નીકળવું પડે છે, ત્યારે લાગે છે પોતાના જીવનનો એક મહત્વનો હિસ્સો અધૂરો મૂકીને જઈ રહ્યો છે.
આજે શહેરો ઝડપથી બદલાઈ રહ્યા છે. જૂની સોસાયટીઓ તૂટી રહી છે, નવા ટાવરો ઊભા થઈ રહ્યા છે, જમીનની કિંમત વધી રહી છે અને રીડેવલપમેન્ટ જીવનનો સામાન્ય ભાગ બની રહ્યું છે. ત્યારે વિકાસ જરૂરી છે. કાયદો સાથે વ્યવસ્થા પણ જરૂરી છે. ગેરકાયદેસર બાંધકામ સામે કાયદેસરની કાર્યવાહી જરૂરી હોય તો થવી જ જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે એક પ્રશ્ન માનવતાનો પણ છે આવે છે. દુકાનો તોડતી વેળાએ માત્ર તેમની રોજીરોટી છીનવાઈ જતી હોય છે પરંતુ ઘર એતો જીવન છે. સરકારી દસ્તાવેજોમાં ઘર કદાચ એક મિલકતનો નંબર હોય છે, અથવા કોઈ બાંધકામ હોય છે. પરંતુ માણસ માટે ઘર એટલે જીવનની યાદોનું સરનામું.બુલડોઝર જ્યારે કોઈ દીવાલ પર પહેલો ઘા કરે છે ત્યારે કદાચ તેને ખબર નથી હોતી કે એ જ દીવાલ પાસે કોઈ માતાએ પોતાના બાળકને પહેલી વાર ઊભું કરવાનું શીખવ્યું હતું. કે એ જ ઓરડામાં કોઈ વૃદ્ધે જીવનના છેલ્લા વર્ષો વિતાવ્યા હતા.
આ છત નીચે તહેવારો ઉજવ્યા હતા, મુશ્કેલીઓ સહન કરી હતી અને આવતીકાલનાં સપનાં જોયાં હતાં. ઘર તુટતા અસંખ્ય લાગણીઓ કાટમાળમાં દટાઈ જાય છે. જે વ્યક્તિનું ઘર તૂટી રહ્યું હોય છે, તેની સૌથી મોટી ‘હવે મારો પરિવાર ક્યા જશે એટલે કાયદો અમલમાં મૂકવો પડે ત્યારે શક્ય હોય ત્યાં વૈકલ્પિક રહેઠાણ અથવા પુનર્વસન અંગે વિચાર થવો જોઈએ. કારણ કે શહેરો માત્ર રસ્તાઓ, ઈમારતો અને નકશાથી બનતાં નથી, તેમાં વસતા માણસોથી બને છે. મકાન ખરીદી શકાય છે, પરંતુ ઘર વસાવવું પડે છે. માણસ આખી જિંદગીમાં જે સૌથી અમૂલ્ય વસ્તુ કમાય છે, એ પૈસાથી ખરીદેલું મકાન નહીં, પરંતુ એ મકાનને ‘ઘર’ બનાવી દેતી યાદો અને હૂંક હોય છે.




