હત્યારાની બંદુકમાંથી છુટેલી ગોળી તેના જ પગમાં ખુંપી ગઈ : જાપ્તા હેઠળ સિવિલમાં દાખલ
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી
- Advertisement -
રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના નાનામવા ગામમાં રહેતા ભાઇ કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજાની ઘર પાસે જ ગોળી મારી હત્યા નિપજાવી અને તેના દાદા રહેન્દ્રસિંહના માથામાં ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટેલા નવલનગરના રણજીત નાજભાઈ વાળા, તેના પુત્ર રાજવીર ઉપરાંત સગીર પુત્રની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ કેસની ગંભીરતા ધ્યાને લઈ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. તપાસનીશ પીઆઈ મનોજ ડામોર દ્વારા આરોપીઓ સામે સજ્જડ પુરાવા એકત્ર કરવા કવાયત શરૂ કરાઈ છે બીજી તરફ બનાવ સમયે એક રાઉન્ડ હવામાં અને બે રાઉન્ડ યુવક પર કર્યા ત્યારે એક ગોળી ખુદ હત્યારા રણજિતના પગમાં ખુંપી જતા તેને પણ ઇજા થતા જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બુધવારે રાત્રે બનેલી આ ઘટના બાદ ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના એસીપી બી. બી. બસીયાએ જૂદી-જૂદી ટીમોને કામે લગાડી હતી. જેના પરિણામે બપોરે ત્રણેય આરોપીઓ સરધાર પાસેથી ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર કૃષ્ણસિંહના માસીયાઈ ભાઈ કુલદિપસિંહ જાડેજા ફરિયાદી બન્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રણજીત સામે ર૦૧પ સુધી દારૂ-જુગારના ગુના નોંધાયેલા છે. હથિયાર કયાંથી લીધુ તે અંગે તપાસ થઈ રહી છે. તે ફીગો કારમાં આવ્યો હતો. તેનો પુત્ર એકટીવામાં આવ્યો હતો. આ ઉપરાંત બુલેટ સહિતના વાહનો કબજે કરવા તજવીજ કરાઈ છે બનાવની રાત્રે ઉશ્કેરાયેલા રણજીતે પોતાની પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ દરમિયાન ભોગ રણજીત નીચે પડી ગયો હતો અને મિસાયરિંગ થતાં એક ગોળી તેના પોતાના જ ડાબા પગના ઘૂંટણમાં વાગી હતી. ફાયરિંગનો અવાજ સાંભળી લોકો એકઠા થઈ ગયા હતા અને રણજીતના બંને દીકરાઓને પકડી લીધા હતા. દીકરાઓને છોડાવવા માટે રણજીતે ફરીથી સીધું ફાયરિંગ કર્યું, જે ગોળી યુવકના માથા અથવા મોઢાના ભાગે વાગતા તે લોહીલુહાણ થઈ ઢળી પડયો હતો અને ત્રણેય નાસી છૂટ્યા હતા હાલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયની ધરપકડ કરી પીઆઇ ડામોરે વધુ તપાસ હાથ ધરી છે.




