રંગા-બિલ્લાની પાપલીલા પર આધારિત સીરિઝમાં મેકર્સ જ પાપલીલા આચરી ગયા
રંગા-બિલ્લાનો ધર્મ બદલી નંખાયો, ઇન્સપેકટરની જાત બદલી નાંખી અને એક મુસ્લિમ ઈમાનદાર મહિલા પત્રકારનાં પાત્રને ઉમેરી દીધું !
- Advertisement -
પ્રાઈમ વીડિયો પર તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ ‘રાખ’ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બની છે. આ સીરિઝ વર્ષ ૧૯૭૮ના ચર્ચિત ‘રંગા-બિલ્લા’ હત્યાકાંડ પર આધારિત હોવાનું કહેવાય છે. વાસ્તવિક ઘટનામાં બંને મુખ્ય આરોપીઓ શીખ સમુદાયના હતા (કુલજીત સિંહ અને જસબીર સિંહ), પરંતુ સીરિઝમાં તેમને હિન્દુ નામ (બાબુ અને રજ્જો) આપીને એકને હરિયાણવી અને બીજાને મહારાષ્ટ્રીયન દર્શાવવામાં આવ્યા છે.
આ સીરિઝમાં બાળકોને બચાવવાનો પ્રયત્ન કરનાર પાત્રનું નામ બદલીને ‘સલીમ’ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તપાસ અધિકારી તરીકે અલી ફઝલે એક દલિત પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે, જેના ઘરમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા અને ‘જય ભીમ’ના નારા દર્શાવ્યા છે. તેમના મદદનીશ તરીકે એક મુસ્લિમ અધિકારીને અને પોલીસ દળમાં સૌથી નકામા હવાલદાર તરીકે ‘મિશ્રા’ અટક ધરાવતા એક બ્રાહ્મણ પાત્રને દર્શાવવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો જૂના પોલીસ રેકોર્ડ્સ ટાંકીને કહી રહ્યા છે કે ૧૯૭૮ના અસલી તપાસ પથકમાં વી. પી. ગુપ્તા, રામ ચંદર અને જે. એન. ચતુર્વેદી જેવા અધિકારીઓ સામેલ હતા, જેમના કોઈ પણ પાત્ર સાથે સીરિઝમાં દર્શાવેલ વિગતો મેળ ખાતી નથી.
સોશિયલ મીડિયા વ્યૂઅર્સ આ સીરિઝને ‘લેક્ટીસ પ્રોપેગન્ડા’ ગણાવી રહ્યા છે. વિવેચકોનું કહેવું છે કે સીરિઝમાં પાત્રો અને સામાજિક મુદ્દાઓને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે કે વાર્તાનો મુખ્ય હેતુ અપરાધ પરથી હટીને જ્ઞાતિ અને સામાજિક ઓળખ પર કેન્દ્રિત થઈ જાય છે. આ ઉપરાંત સીરિઝમાં વાસ્તવિક ઘટનાઓ સાથે ઘણી છેડછાડ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે સીરિઝમાં અલી ફઝલ દ્વારા ભજવવામાં આવેલ મુખ્ય તપાસ અધિકારીને દલિત તરીકે તેમના સાથીને મુસ્લિમ તરીકે અને એક પ્રામાણિક પત્રકારને પણ મુસ્લિમ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે એક પોલીસકર્મીને બ્રાહ્મણ તરીકે દર્શાવીને તેમને નકારાત્મક પાત્ર (નેગેટિવ રોલ) તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- Advertisement -
સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે વાસ્તવિક કેસમાં તપાસનું નેતૃત્વ વી. પી. ગુપ્તા, રામ ચંદર અને પોલીસ કમિશનર જે. એન. ચતુર્વેદી જેવા અધિકારીઓએ કર્યું હતું, જે વાસ્તવિકતા અને સીરિઝમાં દર્શાવવામાં આવેલી બાબતોમાં મોટો તફાવત છે. બીજી તરફ કેટલાક દર્શકોનું માનવું છે કે ફિલ્મ કે વેબ સીરિઝ બનાવતી વખતે નિર્માતાઓ પાસે પોતાની કલ્પના ઉમેરવાની ‘ક્રિએટિવ ફ્રીડમ’ (સર્જનાત્મક સ્વતંત્રતા) હોય છે. સાચી ઘટનાઓ પર આધારિત વાર્તાઓમાં પાત્રો અને પરિસ્થિતિઓમાં બદલાવ લાવી શકાય છે જેથી વાર્તા વધુ રસપ્રદ બની શકે. રાખ સીરિઝની આ ટીકાઓ ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કરે છે કે સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મો કે સીરિઝમાં સર્જનાત્મક સ્વતંત્રતાની મર્યાદા કેટલી હોવી જોઈએ? ટીકાકારોનું માનવું છે કે જ્યારે કોઈ સીરિઝ સત્ય ઘટના પર આધારિત હોવાનો દાવો કરતી હોય ત્યારે તેણે ઐતિહાસિક તથ્યો સાથે સંતુલન જાળવવું જોઈએ અન્યથા તે દર્શકોમાં ખોટી માન્યતાઓ ફેલાવી શકે છે. ટૂંકમાં, આ સીરિઝ પોતાની વાર્તા કહેવા માટે વાસ્તવિક ઘટનાના પાત્રોની ઓળખ બદલવાને કારણે વિવાદનું કેન્દ્ર બની છે, જેને લઈને દર્શકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.




