સાળંગપુર ધામની આગવી ઓળખ હવે કાયદાકીય રીતે સુરક્ષિત
હવે દાદાના ચિત્રાત્મક સ્વરૂપો અને વિશિષ્ટ નામોનો દુરુપયોગ અટકાવી શકાશે
- Advertisement -
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાળંગપુર ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત કરવાના ભાગરૂપે દાદાના વિવિધ દિવ્ય સ્વરૂપો અને લોકપ્રિય ઓળખ “કિંગ ઓફ સાળંગપુર” સહિતના વિવિધ કૉપીરાઇટ, ટ્રેડમાર્ક અને બૌદ્ધિક સંપત્તિ હકોના પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા છે. આજે આ તમામ કાયદાકીય પ્રમાણપત્રો ભાવપૂર્વક કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા. આ કાયદાકીય નોંધણીઓનો મુખ્ય હેતુ સાળંગપુર ધામની આગવી ઓળખ, ભવ્ય ગૌરવ અને પેઢીઓ જૂના આધ્યાત્મિક વારસાનું સંરક્ષણ કરવાનો છે. આ પ્રમાણપત્રો મળ્યા બાદ હવે દાદાના ચિત્રાત્મક સ્વરૂપો અને વિશિષ્ટ નામોનો દુરુપયોગ અટકાવી શકાશે. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા જાણીતી ફર્મ D N AHYA & CO. દ્વારા IP નિષ્ણાત દર્શિત આહ્યાના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક નિર્ણયથી સાળંગપુર ધામના કરોડો ભક્તોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે, કારણ કે આ પગલાથી મંદિરની સ્થાપત્ય અને ધાર્મિક ઓળખ સત્તાવાર રીતે કાયદાના દાયરામાં સુરક્ષિત થઈ ગઈ છે.
‘દિવ્ય વારસાના સંરક્ષણ-સંવર્ધનનું કાર્ય સતત ચાલુ રહેશે’ : કોઠારી વિવેકસાગર સ્વામી
આ પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી સનાતન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. દાદાના આશીર્વાદથી આ દિવ્ય વારસાના સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય સતત ચાલુ રહેશે, જેથી ભવિષ્યમાં પણ મંદિરની ગરિમા અકબંધ રહે.




