અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ પરથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલું 2.58 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાનું પાર્સલ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે. આ મામલે લોજિસ્ટિક્સ કંપનીએ એરલાઇન્સ કંપની વિરુદ્ધ બેદરકારી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર ઘટના?
- Advertisement -
મળતી માહિતી અનુસાર, મૂળ ન્યુ રાણીપના રહેવાસી અને લોજિસ્ટિક્સ કંપનીમાં સિક્યોરિટી મેનેજર તરીકે ફરજ બજાવતા રીછપાલસિંઘ રાઠોડે આ અંગે ફરિયાદ દાખલ કરી છે. ગત 18મી એપ્રિલના રોજ એક જ્વેલર્સ દ્વારા સોનાના દાગીનાના કુલ 7 પાર્સલ બેંગ્લોર મોકલવા માટે કંપનીને સોંપવામાં આવ્યા હતા. ગુમ થયેલા એક પાર્સલનું વજન આશરે 13 કિલો હતું, જેમાં 2 કિલો 107 ગ્રામ અને 562 મિલીગ્રામ સોનાના દાગીના હતા, જેની બજાર કિંમત 2.58 કરોડ રૂપિયા થાય છે. આ પાર્સલ આકાશા એરની ફ્લાઈટ નંબર QP-1901 મારફતે અમદાવાદથી બેંગ્લોર મોકલવાના હતા.
અમદાવાદથી લોડ થયા, પણ બેંગ્લોર પહોંચતા એક પાર્સલ ઓછું નીકળ્યું
લોજિસ્ટિક્સ કંપનીએ 18 એપ્રિલના રોજ વહેલી સવારે 2:15 વાગ્યે અમદાવાદ કાર્ગો એરપોર્ટ પર એરલાઇન્સને તમામ 7 પાર્સલ સોંપ્યા હતા અને તેની પહોંચ પણ મેળવી હતી. જોકે, ફ્લાઈટ બેંગ્લોર લેન્ડ થયા બાદ જ્યારે ડિલિવરી લેવામાં આવી ત્યારે માત્ર 6 જ પાર્સલ મળી આવ્યા હતા.
- Advertisement -
એરલાઇન્સના સ્ટાફના વિરોધાભાસી જવાબ
આ બાબતે એરલાઇન્સના અમદાવાદ ખાતેના સ્ટાફે દાવો કર્યો હતો કે તમામ 7 પાર્સલ લોડ કરી દીધા છે, જ્યારે બેંગ્લોર ખાતેના સ્ટાફે માત્ર 6 જ પાર્સલ મળ્યા હોવાનું જણાવ્યું હતું. લાંબી પૂછપરછ છતાં આકાશા એર કંપનીએ આ 2.58 કરોડના ગુમ થયેલા પાર્સલ અંગે કોઈ યોગ્ય જવાબ કે માહિતી ન આપતાં, કંપનીનો માલ મેળવી તેને નિયત સ્થળે ન પહોંચાડી છેતરપિંડી કરવા બદલ લોજિસ્ટિક કંપની દ્વારા એર કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.




