ઈરાન-ઈરાકનો તણાવ વધતા વૈશ્વિક ફ્લાઈટ્સ પર બ્રેક, એર ઈન્ડિયાએ લાંબો પણ સલામત રૂટ અપનાવી સેવાઓ ચાલુ રાખી
અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ મુસાફરોમાં જે ડર હતો તે હવે દૂર થયો, સંકટ સમયે એર ઈન્ડિયાની કામગીરીની પ્રશંસા
- Advertisement -
ઇરાન અને ઇરાક સાઉદી અરેબિયા આસપાસના વિસ્તારોમાં સુરક્ષા પરિસ્થિતિ બગડતાં વધેલા તણાવના કારણે વિશ્વભરના હવાઈ મુસાફરી વ્યવસ્થામાં ભારે અવરોધ ઉભો થયો અનેક દેશોએ પોતાના હવાઈ માર્ગો બંધ કરી દીધા છે. તેની અસર હજારો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પડી છે અને અનેક મુસાફરો વિવિધ એરપોર્ટ પર અટવાઈ ગયા છે.
ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન વિદેશમાં રહેતા હજારો ભારતીયો પોતાના દેશમાં પરત ફરતા હોય છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુરોપના અન્ય દેશોમાં રહેતા ભારતીયો આ સમયગાળામાં રજાઓ, પરિવારિક પ્રસંગો અથવા પ્રવાસ માટે ભારત આવે છે. લાખો ભારતીયો કામ, વ્યવસાય અને પ્રવાસ માટે મધ્યપૂર્વના દેશોમાં રહે છે અથવા ત્યાંથી મુસાફરી કરે છે.
આવા સમયે જો ફ્લાઇટ્સ બંધ થાય, રદ થાય અથવા લાંબા સમય સુધી મોડું થાય તો તેનો સીધો અસર મુસાફરો પર પડે છે. ઘણા લોકોને ટ્રાંઝિટ એરપોર્ટ્સ પર કલાકો કે ક્યારેક દિવસો સુધી રાહ જોવી પડે છે, જ્યારે કેટલાક મુસાફરોને તેમના પ્રવાસના પ્લાન પણ બદલવા પડે છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સંબંધિત તણાવ વધતા સમગ્ર મધ્યપૂર્વ વિસ્તારમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક દેશોએ પોતાના આકાશ માર્ગોને તાત્કાલિક બંધ કરી દીધા અથવા કડક નિયંત્રણો લગાવ્યા છે. મધ્યપૂર્વ વિશ્વના મુખ્ય ટ્રાંઝિટ હબ તરીકે ઓળખાય છે. ખાસ કરીને દુબઈ , દોહા, અબુધાબી જેવા શહેરોના એરપોર્ટ્સમાંથી દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. યુરોપ, એશિયા અને અમેરિકાને જોડતા અનેક આંતરરાષ્ટ્રીય વિમાનો આ વિસ્તારમાંથી પસાર થાય છે. તેથી હવાઈ માર્ગો બંધ થતા હજારો ફ્લાઇટ્સને રદ કરવી પડી છે અથવા તેમના રૂટ બદલી દેવા પડ્યા છે. આવી પરિસ્થિતિમાં એર ઇન્ડિયાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
મુસાફરોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનના હવાઈ માર્ગો ટાળીને એર ઇન્ડિયાએ લાંબા પરંતુ સુરક્ષિત રૂટ અપનાવ્યા છે. જેના કારણે ફ્લાઇટનો સમય થોડો વધે છે, પરંતુ મુસાફરોને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
એર ઇન્ડિયાના અધિકારીઓ મુજબ મુસાફરોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની સતત ફ્લાઇટ રૂટ્સ અને સુરક્ષા વ્યવસ્થાનો સમીક્ષા કરી રહી છે.
આજકાલ ઘણા મુસાફરો માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ મધ જેવી મીઠી લાગી રહી છે. જ્યારે થોડા મહિના પહેલાં જ અમદાવાદમાં થયેલા એક ભયાનક વિમાન દુર્ઘટનામાં અનેક મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે એર ઇન્ડિયાની સલામતી અને કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ પણ સર્જાયું હતું. એ સમયે એર ઇન્ડિયામાં ટ્રાવેલ કરતા લોકો ડરતા હતા, ટિકિટના દર પણ ઓછા થઇ ગયા હતા.આજે એજ આજે વિચારે કે સારું આ એર લાઇન્સ માં બુકીંગ કરાવ્યું હતું. એર ઇન્ડિયાની ચાલુ રહેલી ફ્લાઇટ્સ મુસાફરો માટે મોટી રાહત બની છે.
વિશ્વભરના એવિએશન નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્યપૂર્વમાં તણાવ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર તેની અસર વધુ સમય સુધી રહી શકે છે. ત્યારે પણ એર ઇન્ડિયાનો રૂટ બદલીને સેવા ચાલુ રાખવાનો નિર્ણય હજારો મુસાફરો માટે આશાનું કિરણ બની રહ્યો છે.



