પિપળી રોડ પર કારખાનામાં મૃતદેહ દાટી દેવાયો: સાત દિવસમાં બીજી હત્યાથી કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
- Advertisement -
મોરબીમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ પોલીસના ડર વગર એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે. ગત સપ્તાહે સોની યુવાનની હત્યા બાદ હજુ ગઈકાલે જ પાટીદાર યુવા સંઘે ડીવાયએસપીને રજૂઆત કરી હતી, ત્યાં જ આજે વધુ એક ચોંકાવનારી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગુમ થયેલા યુવાનની હત્યા કરી તેના મૃતદેહને સળગાવી, કારખાનામાં દાટી દઈ ઉપર સિમેન્ટનું ધાબું કરી નાખવાની ક્રૂર મોડસ ઓપરેન્ડી સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા અને જમીન-મકાન લે-વેચનું કામ કરતા તાજમહમદ ભટ્ટી નામનો યુવાન ગત તા. 19 ફેબ્રુઆરીથી ગુમ થયો હતો. બે દિવસ બાદ તેની ગાડી સેવા સદન રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન આજે ઘટસ્ફોટ થયો કે આ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓએ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને પહેલા સળગાવી દીધો હતો અને ત્યારબાદ પીપળી રોડ પર આવેલા એક કારખાનામાં ખાડો ખોદી લાશ દાટી દઈ ઉપર સિમેન્ટ કોંક્રિટનું ધાબું ભરી દીધું હતું.
બનાવની જાણ થતા જ મોરબી ડીવાયએસપી અને બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં સિમેન્ટનું ધાબું તોડીને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોરબીમાં એક જ સપ્તાહમાં બનેલી બીજી હત્યાની ઘટનાએ પોલીસની નિષ્ક્રિયતા સામે આંગળી ચીંધી છે. વધતી જતી ગુનાખોરીને પગલે કોંગ્રેસ અને સામાજિક સંસ્થાઓએ આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ હવે આ હત્યા પાછળના મુખ્ય સૂત્રધારો અને કારણો શોધવા વધુ તપાસ ચલાવી રહી છે.



