પશ્ચિમ બંગાળના પરગણા જિલ્લાના બારાસાતમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. આ બંને દર્દીઓ બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં મેલ અને ફીમેલ નર્સ તરીકે ફરજ બજાવે છે. હાલ તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આ બંને નર્સ ડિસેમ્બર મહિનામાં મિદનાપુર અને બર્ધમાન સ્થિત પોતાના ઘરે ગયા હતા, જ્યાં તેઓ બીમાર પડ્યા હતા.
દર્દીઓના સેમ્પલ પુણે લેબમાં મોકલાયા
- Advertisement -
બંગાળના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ આ મામલે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બંને શંકાસ્પદ દર્દીઓ એક જ હોસ્પિટલમાં કામ કરે છે અને હાલ ત્યાં જ સારવાર હેઠળ છે. વાયરસના ફેલાવાને રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ‘કોન્ટેક્ટ ટ્રેસિંગ’ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બંને વ્યક્તિઓના સેમ્પલ પુષ્ટિ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV) ખાતે મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓના મેડિકલ ઓફિસરો સાથે તાકીદની બેઠકો યોજી છે.
70% મૃત્યુદર: અત્યંત જીવલેણ વાયરસ
નિપાહ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા(Fruit Bats) દ્વારા ફેલાય છે. જોકે, ચામાચીડિયામાંથી તે ડુક્કર, પશુઓ કે મનુષ્યોમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગે વૈજ્ઞાનિકો પાસે હજુ કોઈ ચોક્કસ તારણ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સંક્રમિત ચામાચીડિયાની લાળ કે પેશાબના સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે. નિપાહ વાયરસમાં મૃત્યુદર 70% જેટલો ઊંચો હોવાથી તે અત્યંત જોખમી માનવામાં આવે છે.
- Advertisement -
નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ તૈનાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આ સ્થિતિ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી અને કેન્દ્ર તરફથી તમામ ટેકનિકલ અને લોજિસ્ટિક મદદની ખાતરી આપી છે. કેન્દ્ર દ્વારા એક ‘નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ’ તૈનાત કરવામાં આવી છે અને વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જરૂરી પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં જે લોકો આ બંને નર્સના સંપર્કમાં આવ્યા હતા, તેમને શોધીને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.




