રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના 75માં નિર્વાણ દિન નિમિતે તા. 15ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુન:નિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સરદાર વલ્લભભાઈ પટેલના દિવંગત આત્માની ચિર શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ અર્થે ભાવનાઓ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને 75’ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સોમનાથના પુન:નિર્માણના સ્વપ્નદ્રષ્ટા અને મહાન સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના એ ઐતિહાસિક શબ્દો યાદ કરવામાં આવ્યા: “જો સરદાર પટેલ ના હોત તો આપણી આંખો સોમનાથનું પુન:નિર્માણ જોવા પામી ના હોત.”
સરદાર સાહેબની સોમનાથ પુન:નિર્માણની અડગ ઈચ્છાશક્તિને કારણે જ આજે સોમનાથનું ભવ્ય ધામ આપણી સમક્ષ ઊભું છે. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ સાયં શૃંગાર કરવામાં આવ્યો અને દીપમાલા કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.



