ઓખા મંડળના પાડલી અને ગોરીયાળી ગામ વચ્ચે કિસાન પંથ ગ્રામ માર્ગ યોજના હેઠળ 6 કિમીના રોડ કામમાં ગેરરીતીનો આક્ષેપ
છઝઈં એક્ટિવિસ્ટ માણેક આલાભા આશાભાની ચીમકી, 7 દિવસમાં પગલાં નહી લેવાયો તો મુખ્યમંત્રી સુધી જવાની તૈયારી
- Advertisement -
અધૂરી કામગીરી, કામ પૂર્ણ થયાની ખોટી તારીખ જાહેર કરવી ત્યારબાદ તેને છુપાવવાનો પ્રયાસ એ કરોડોની યોજનામાં ગેરરીતી સૂચવે છે
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળ (દ્વારકા) તાલુકાના પાડલી અને ગોરીયાળી ગામ વચ્ચે કિસાન પંથ ગ્રામ માર્ગ યોજના હેઠળ 6.600 કિમીના રોડ કામમાં ગેરરીતીનો મુદ્દો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. 07 જાન્યુઆરી 2025થી શરૂ થયેલું કામ લગભગ અધૂરું છે, છતાં કામ પૂર્ણતાની ખોટી તારીખ બોર્ડ પર દર્શાવી પછી તેને સફેદ રંગથી ઢાંકી દેવાઈ છે જે જનતાને ભ્રમિત કરવાનો ખુલ્લો પ્રયાસ છે. સ્થળ મુલ્યાંકન સમયે પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કાર્ય પૂર્ણ નથી અને બોર્ડ પર દર્શાવેલી તારીખ ખોટી છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે 10/12/2025ના રોજ તેમને જણાવ્યુ કે કોન્ટ્રાક્ટર સામે અમે લાચાર છીએ જે કરવું હોય તે મારી સામે કરી લો.સરકારી ઇજનેર દ્વારા આપેલા આવા નિવેદનથી સમગ્ર વિકાસ વિભાગના કાર્ય પર સવાલો ઊભા થયા છે. શું આ કામમાં ગેરરીતી થઇ છે? શું એજન્સી અને અધિકારીઓ વચ્ચે કોઇ સેટિંગ છે? અથવા વિભાગે જનહિતને સંપૂર્ણપણે અવગણ્યું છે?
ગેરરીતિઓ ખુલી પડી તે બાબત જુલાઈ 2025ના રોજ પત્રકાર બુધાભા ભાટ્ટીએ આ બાબતે તપાસ કરી જેમાં બોર્ડમાં કામ પૂર્ણ થયેલ તેવું લખેલું હોવાના પુરાવા પણ છે. ત્યારે પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારા ભૂલથી લખાઈ ગયું તેવો બચાવ કરી શું સાબિત કરવા માંગે છે. તેમજ કામ પૂર્ણ થયાની ખોટી તારીખ જાહેર કરવી એ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો ગુનો છે અને કામ અધૂરું હોવા છતાં તારીખ જાહેર કરીને તેને પછી ઢાંકવી, એજન્સીના કામનો કરાર અને સરકારની પારદર્શિતા નીતિનો સીધો ભંગ છે. કરાર શરતોના ઉલ્લંઘનમાં જોઇએ તો સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ ન થવી, કામની નબળી ગતિ, ફરજીયાત પ્રગતિ અહેવાલ સબમિટ ન કરવો અને દંડની જોગવાઈઓનું પાલન ન કરવું. આ બધું સ્પષ્ટ કરે છે કે કામની દેખરેખ રાખતા અધિકારીઓ પણ જવાબદારીથી ભાગી રહ્યાં છે. તેમાં પણ 10% દંડની વાત માત્ર દેખાવ? વાસ્તવમાં યોજના માર્ગદર્શિકા મુજબ કરાર રદ, જામીન રાશિ જપ્ત, એજન્સીની બ્લેકલિસ્ટિંગ ફરજિયાત બને છે. પરંતુ અહીં ફક્ત 10 ટકા દંડ બોલીને મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળે છે. આ ઉપરાંત ગામના લોકોએ કટાક્ષ કરતા જણાવ્યું કે આ રસ્તો સરકારની ફાઇલોમાં બનાવાયો છે ગામમાં તો હજુ કાચો રસ્તો અને ખાડા જ દેખાય છે. જ્યાં સામાન્ય નાગરિકો વિકાસ કાર્યમાં પારદર્શિતાની અપેક્ષા રાખે છે, ત્યાં છઇ ઈજનેરનું ‘લાચાર’ નિવેદન સમગ્ર વિભાગને કલંકિત કરે છે. જો વિભાગ કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી જ ન કરી શકે, તો વિકાસ વિભાગની જરૂરત શું? છઝઈં એક્ટિવિસ્ટ માણેક આલાભા આશાભા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી જણાવ્યુ કે પગલા નહીં લેવાય તો મુખ્યમંત્રી અને રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર રજૂઆત કરવામાં આવશે.



