31 ડિસેમ્બર સુધી ફોર્મ વિતરણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
મૂળ મોરબી જિલ્લાના વતની હોય તેવા કડવા પાટીદાર વિદ્યાર્થીઓને એમબીબીએસના અભ્યાસ માટે જો આર્થિક મદદની જરૂર હોય તો તેમને વગર વ્યાજની લોન આપવા માટે થઈને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને તેના માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાસેથી અરજી સ્વીકારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સંસ્થા પાસે જે પ્રકારનું ભંડોળ હશે તેમાંથી આવેલ અરજીઓમાં સરખા ભાગે તમામ વિદ્યાર્થીઓને લોન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેવું હાલમાં સંસ્થાના સંચાલકો પાસેથી જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
મોરબી જિલ્લામાં રહેતા પાટીદાર સમાજના એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે થઈને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા શિક્ષણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે અને જેના થકી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય લોન સ્વરૂપે કરવામાં આવે તે પ્રકારની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે .
જેની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ અને મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં એમબીબીએસમાં ભણતા મોરબી જિલ્લાના મૂળ વતની હોય તેવા કડવા પાટીદારના વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન આપવા માટે થઈને આ શિક્ષણ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. અને તેના માટે 31 ડિસેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીને લોન લેવી હોય તેમના દ્વારા ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ વર્ષ 25-26 ના સમૂહ લગ્ન સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ ફંડને ધ્યાને રાખીને અરજીઓને ફંડની મર્યાદામાં દરેક વિદ્યાર્થીઓને સરખા ભાગે લોન આપવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને જ્યાં સુધી સંસ્થા પાસે ભંડોળ હશે ત્યાં સુધી ભંડોળને ધ્યાનમાં રાખીને શક્ય તેટલા વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન આપવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટેનું હાલમાં આયોજન કરાયું છે.



