વરસાદથી નદી, નાળા અને તળાવોમાં નવા નીરની આવક થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્યના આ વર્ષે ચોમાસુ સમય કરતા વહેલું હોવાનું નજરે પડે છે ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે વહેલાસર અને વરસાદ પણ સારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવી છે. તેવામાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારના તો છેલ્લા બે દિવસથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગત શનિવારે મોડી સાંજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તેવામાં ગઈ કાલે એટલે કે સોમવારે રાત્રિના સમયે વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર એમ આખી રાત વરસાદ ત્રાટક્યો છે. વરસાદના લીધે ઝાલાવાડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નદી, નાળા અને તળાવોમાં નવા નીર આવ્યા છે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોને જોડતા ક્રોઝવે પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને મૂળી તાલુકાના સરા ગામથી નાદધ્રી ગામ તરફ જ્યારે સારથી ધ્રાંગધ્રા તરફ જવાના ક્રોજવે ઉપરથી પાણી જતું જોવા મળે છે. ઝાલાવાડમાં ગત રાત્રીથી શરૂ થયેલા વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા કેટલાક અંશે ગરમી અને ઉકળાટથી લોકોને છુટકારો પણ મળ્યો છે.
- Advertisement -
મુળી તાલુકાના નાયકા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નાયકા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગૌતમગઢ, કૂકડા, ગોદાવરી, શેખપર, ખમીસણા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.
ચુડાનો વાંસલ ડેમ 80 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ
- Advertisement -
ચુડા તાલુકાના પાસે આવેલો વાંસલ ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. આથી ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા અને ગોખરવાડા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા તથા માલમિલકતને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી છે.”
સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવાર સવાર સુધી નોંધાયેલો વરસાદ
ધ્રાંગધ્રા – 35 mm, , દસાડા -26 mm, , લખતર – 28 mm, , વઢવાણ – 42 mm, , મૂળી – 92 mm, , ચોટીલા – 158 mm, , સાયલા – 98 mm, , ચૂડા – 99 mm, , લીંબડી – 31, થાનગઢ – 94 mm, .
ધોળીધજા ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ
ધોળીધજા ડેમના સેક્શન ઓફિસરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ 0.05 ફૂટના લેવલથી ઓવરફ્લો થયો છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ભડીયાદ, જોરાવરનગર, ખમીસણા, નાના કેરાળા, રતનપર, સાંકળી, વઢવાણ, સુરેન્દ્રનગર, શિયાણી, નટવરગઢ, દોલતપર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોના લોકોને અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.