ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા ગઈકાલ પણ રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે. અને આજે પણ રોપ-વે બંધ કરાયો છે જો પવનની ગતિ ધીમી પડશે તો રોપ-વે શરુ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે જયારે ગઈકાલ ગિરનાર પર્વત પર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને પહાડો પરથી ઝરણાં શરુ થયા હતા અને વાદળોથી ગિરનાર ઘેરાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
બીજી બાજુ જોઈએ તો એક તરફ ગિરનારને ધાર્મિક સ્થળોમાં પ્રથમ હરોળનું સ્થાન મળે તેવા દાવા થઇ રહ્યા છે. ત્યારે ગિરનાર અંબાજી મંદિર પરિસર આસપાસ ચા – નાસ્તાનો વ્યવસાય કરતા વેપારીએ જણાવ્યું હતું કે, મંદિર પરિસર આસપાસ છેલ્લા 15 દિવસથી સીડીની લાઈટો બંધ હાલતમાં છે. ગિરનાર યાત્રાધામ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. અને અનેક દેવી દેવતાના ધર્મસ્થાનો આવેલા છે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુ ગિરનાર યાત્રા કરવા આવે છે. એવા સમયે મંદિર આસપાસ પરની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા યાત્રિકો મુશ્કેલીની સામનો કરે છે.