છેલ્લા પાંચ વર્ષમાં પાસા- હદપારીની સજા ભોગવી ચુકેલા 150 ઈસમોને એસીપીએ માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જીલ્લા પોલીસે ગુનેગારોને સુધારવા માટે અનોખી પહેલ કરી છે. અમરેલી જિલ્લામાં અસમાજિક તત્વો સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી છે. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેઓ વિરૂધ્ધ છેલ્લા 5 વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલા લેવાયેલ છે તેવા જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના 150 જેટલા ઇસમોને અમરેલી પોલીસ હેડ કવાર્ટર ખાતે બોલાવી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે એસપીએ માર્ગદર્શન આપ્યું હતું કે, ગુનાહિત પ્રવૃતિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઈપણ ગુનાહિત પ્રવૃતિ ધ્યાને આવ્યે તેઓ વિરૂધ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સુચના આપવામાં આવેલ હતી.
જો કે અસામાજિક તત્વોને એસપી દ્વારા આડકતરી રીતે ’કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી પાસા અને હદપારની સજા ભોગવેલા 150 ઈસમોને શાનમાં સમજી જવા માટે શીખ આપી હતી. અને પરેશાની ન થાય તે માટે મહેનતની કમાણી કરવા માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે તો પોલીસ કડક પગલાં લેશે. વધુમાં જણાવેલ કે, ગુનાહિત પ્રવૃત્તિને લીધે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય છે. હાલ ગેરકાયદે વીજ જોડાણ લીધેલ ગુનેગારો પર પોલીસે કાર્યવાહી કરી અને દંડ ફટકાર્યો હતો. તેમજ તમામ ઈસમોને સમજાવવાનો પ્રયાસ કર્યો ગેરકાયદે પ્રવૃત્તિઓથી તેમના પરિવારો પર વિપરીત અસર પડે છે. ગુજસીટોક જેવા કડક કાયદાઓની પણ માહિતી આપવામાં આવી હતી. એસપીએ સ્પષ્ટ કર્યું કે, આ તેમની છેલ્લી તક છે અને તેમણે કાયદાની મર્યાદામાં રહેવું પડશે તેમ એસપી સંજય ખરાતે જણાવ્યું હતું. આ તકે મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ, જયવીર ગઢવી, નયના ગોરડિયા, નાયબ પોલીસ અધિક્ષક સહિતના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા.



