અનેક યાત્રિકોએ ભવનાથ, સાસણ, સોમનાથના પ્લાન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા સોમવારે સવારના સમયે રોપ- વે બંધ રહ્યો હતો. રોપ -વે બંધ થતા અનેક યાત્રિકોએ વળતા રોપ-વે ચાલુ હોય તો લાભ લેવાના સંકલ્પ સાથે ભવનાથ, સાસણ, સોમનાથના પ્લાન કર્યા હતા. ગિરનાર પર્વત પર અવાર નવાર પવનની ઝડપ વધી જતા રોપ- વેનું સંચાલન પ્રભાવિત થાય છે. દરમિયાન સોમવારે પણ વ્હેલી સવારથી જ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. અંદાજે 60 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાતા રોપ- વેનું સંચાલન કરવું યાત્રિકો માટે જોખમરૂપ હોય રોપ-વેનું સંચાલન સ્થગિત કરાયું હતું. જોકે, રોપ-વે બંધ થતા અનેક યાત્રિકોએ ફરવા જવાના પ્લાન બદલ્યા હતા. આ અંગે અંબાજી મંદિરના વિજયભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,સવારે 10 વાગ્યા સુધી ભારે પવનના કારણે રોપ-વે બંધ રહ્યો હતો. રોપ-વે બંધ હોવાનું જણાતા અનેક યાત્રિકો વળતા રોપ-વે ચાલુ હશે તો લાભ લઇશું તેમ વિચારી ભવનાથમાં મંદિરો- આશ્રમોમાં દર્શન કરવા અને ફરવા નિકળી ગયા હતા. તો કેટલાક યાત્રિકોએ ફોરવ્હિલ લઇને આવ્યા હોય પરત ફરતા સમયે રોપ-વે ચાલુ હશે તો બેસીશું તેમ મન મનાવીને સાસણ, સોમનાથ જતા રહ્યા હતા. જોકે, સવારના 10 વાગ્યા બાદ પવનની ઝડપ નોર્મલ થઇ જતા રોપ- વેને ચાલુ કરાયો હતો.