બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર મચ્યો છે. સિવાન અને છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં 20 અને છપરામાં 8 લોકોના મોત થયા છે. આમ,અત્યાર સુધી 28 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકો હજુ પણ બીમાર છે. તેમાંથી મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે કેટલાક લોકોની સારવાર છપરામાં ચાલી રહી છે. જ્યારે કેટલાકને પટના રિફર કરવામાં આવ્યા છે.
છાપરામાં ત્રણની ધરપકડ, 8 સામે ગુનો નોંધ્યો
છપરાના પોલીસ વડા આશિષ કુમારે જણાવ્યું હતું કે, ‘આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાતાકીય કાર્યવાહીના ભાગરૂપે મશરક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને મશરક વિસ્તારના ALTF ઈન્ચાર્જ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.’
- Advertisement -
જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભગવાનપુર પોલીસ સ્ટેશન અને ભગવાનપુર પોલીસ સ્ટેશનના ASI સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’
વહિવટી તંત્ર 24 કલાક એલર્ટ પર, હેલ્પલાઈન નંબર જાહેર
ઝેરી દારુ પીવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા હોવાની માહિતી સામે આવતા ડીએમ, એસપી સહિત વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર 06154-24 2008 જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ઘટના અંગે તેમજ મૃતક લોકો અંગે તુરંત સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સદર હોસ્પિટલ સિવાન તેમજ બસંતપુર આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરોને 24 કલાક એલર્ટ પર રહેવા નિર્દેશ અપાયો છે અને વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
આરજેડીએ સરકાર પર પ્રહારો કર્યા
વિપક્ષે ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મૃત્યુને લઈને રાજ્ય સરકાર પર પ્રહોરો કર્યો હતો. આરજેડી નેતા મૃત્યુંજય તિવારીનું જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે. તે ખૂબ જ દુઃખદ અને ચિંતાની વાત છે કે દારૂબંધીનો કાયદો હોવા છતાં બિહારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવે છે, કેવી રીતે લોકો ઝેરી દારૂના કારણે મૃત્યુ પામે છે.’
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ આરોપ લગાવ્યો કે, ‘દારૂ માફિયાઓને સરકારનું રક્ષણ છે અને જ્યાં સુધી તેમને સરકારનું રક્ષણ છે. દારૂબંધી અમલમાં છે પરંતુ દારૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો છે. એનડીએ સરકારને આની ચિંતા નથી.’