ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા 12 ઓકટોબર શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પવિત્ર દિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજના લોકો માટે ભવ્ય સમૂહ શસ્ત્રપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આ વર્ષે વીર રાણા જશરાજજી મેદાન એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના ટી.પી. પ્લોટ પ્રમુખ સ્વામિ ઓડિટોરિયમની બાજુમાં, રૈયા રોડ ખાતે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કરવામાં આવેલું છે. રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે. ડી. રઘુવંશીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે રઘુવંશી સમાજ એ પ્રાચીન ક્ષત્રિય સમાજ છે કે જેઓ અખંડ ભારતના સરહદી વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા થતા આક્રમણો સામે પોતાના પ્રાણોની આહુતિઓ આપી છે એમાંનો એક નાનો કિસ્સો કે જે આજ પણ હિન્દુ ધર્મના તમામ લોકો માને છે.
- Advertisement -
જ્યારે કચ્છના રાજવી રાજા રાયધનએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરીને ભુજના મહેલ પર આક્રમણ કર્યુ ત્યારે ત્યાંના મહારાણીએ રઘુવંશી મેઘજી શેઠને સંદેશો મોકલી રક્ષા કરવાનું જણાવ્યું હતું ત્યારે 900 ઘોડેસ્વાર લઈને રઘુવંશી વીરએ રક્ષા કરી હતી. આ પ્રકારે અનેક બહાદુરીના કિસ્સાઓ રઘુવંશી સમાજ તેના ઈતિહાસમાં ધરાવે છે. આ વર્ષે શ્રી રઘુવંશી યુવા શક્તિ દ્વારા 1100 રઘુવંશી યુવાનો સાથે ઐતિહાસિક શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી સમાજ અને હિંદુ ધર્મની ઘણી મહાન હસ્તીઓ હાજર રહેવાની છે જેમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના હોદ્દેદારો કે. ડી. રઘુવંશી, કુલદીપ રઘુવંશી, પાર્થ જોબનપુત્રા, જયભારત ધામેચા, પ્રતીક રાંચ, રક્ષિત પૂજારા, પ્રિન્સ રૂપારેલિયા, ઓમ કટારીયા, રાજ ચોટાઈ તેમજ સંયોજક બિરેન જોબનપુત્રા, કિશન ઉનડકટ, પાર્થ નથવાણી, મીહિર સોમૈયા, હાર્દિક કારીયા, દર્શિત જીવરાજાણી તેમજ સભ્ય ભૂમિતભાઈ રાજાણી, કેયુર કોટક વગેરે લોકે જહેમત ઉઠાવી રહ્યા છે.