નવરાત્રીમાં માટીના ગરબાનું અનેરું મહત્વ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
દેશ અને દુનિયામાં ગુજરાતીના ગરબા ખુબજ પ્રખ્યાત છે ત્યારે અહી નવરાત્રીના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની જુદી જુદી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. માતાજીની ભક્તિ સાથે નવરાત્રી યુવાઓ માટે પણ ખુબજ ઉત્સાહનો પર્વ માનવામાં આવે છે. ત્યારે પૌરાણિક માન્યતા મુજબ દરેક પરિવાર પોતાના ઘરમાં માટીનો ગરબો પ્રસ્થાપિત કરી તેનું અનુસ્ટાન પણ કરતા હોય છે. વર્ષોથી ચાલી આવતી માટીના ગરબાની પરંપરા આજેય હજુય અનેક નાના – મોટા શહેરોમાં અકબંધ છે પરંતુ આ માટીના ગરબા તૈયાર કરવા પાછળ અનેક મહિનાઓની મહેનત હોય છે. રાજ્યના મોટાભાગે વેચાણ થતાં માતાજીના ગરબા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે તૈયાર થાય છે.
- Advertisement -
થાનગઢ ખાતે વર્ષોથી માટીના ગરબા બનાવવાના કાર્ય સાથે જોડાયેલા બળદેવભાઈ છેલ્લા બાર વર્ષથી અવનવી ડિઝાઇનના ગરબા બનાવે છે. જેમાં અલગ અલગ ડીઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો, ફિનિસિંગ કરવા સહિતની કમગીરી પૂર્ણ કર્યા બાદ ગરબાને વેચાણ પણ કરે છે. આ ગરબો ત્રણ ઈચથી બાર ઈચ સુધીના લંબાઈ ધરાવતો બનાવવામાં આવે છે. જ્યારે માટીના ગરબાના કિંમતની જો વાત કરવામાં આવે તો એક ગરબાની કિંમત રૂપિયા પંદરથી લઈને બસો રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે. ગરબા બનાવતા કારીગરો આ ગરબા બનાવીને સારી આવક પણ મેળવી રહ્યા છે. નવરાત્રીની સીઝનમાં એક લાખ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે. ઉલ્લેખનિય છે કે થાનગઢ ખાતેથી નિર્માણ કરેલ માટીના ગરબા રાજ્યના વિવિધ જીલ્લામાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ સુધી દરેક પરિવારો ગરબો ઘરમાં સ્થાપન કરે છે તેમજ શેરી ગલીઓની પૌરાણિક ગરબી અને મંદિરમાં પણ ગરબો સ્થાપિત કરી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.