જૂનાગઢથી સંતાનો સાથે રીક્ષાચાલક ધોરાજી ફરવા આવ્યો, ભાદર નદીમાં ઝંપલાવ્યું
ભાઈ અને પિતા નદીમાં કૂદ્યા હોવાની જાણ પુત્રીએ મામાને કરતા પરિવાર ધોરાજી દોડી ગયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢથી સંતાનો સાથે એક રીક્ષાચલાક ધોરાજી ફરવા માટે આવ્યો હતો. માસૂમ પુત્રી અને પુત્રને લઇને ભાદર નદીએ પહોંચ્યો હતો અને પુત્રીની નજર સામેજ પિતા-પુત્રીએ ભાદર નદીમાં ઝંપલાવી દીધું હતું. ભાઈ અને પિતા નદીમાં કૂદ્યા હોવાની જાણ પુત્રીએ મામાને કરતા પરિવાર ધોરાજી દોડી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. રાત્રીના સમયે પુત્રનો મૃતદેહ મળ્યો હતો જ્યારે સવારે પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી વિગત મુજબ, જૂનાગઢના દાતાર રોડ પર પાંજરાપોળ પાસે રહેતા 42 વર્ષિય હિરેન જસ્વાલ તેના નવ વર્ષના પુત્ર રિયાન્સ અને પુત્રી સાથે જૂનાગઢથી ધોરાજી ફરવા આવ્યો હતો. મોડી સાંજે ત્રણેય જૂનાગઢ તરફ જવા રવાના થયા ત્યારે હિરેને પોતાના ભત્રીજાને ફોન કરી વરસાદ હોય તેડી જેવા માટે જણાવ્યું હતું. જેથી ભત્રીજો ધોરાજી આવવા નિકળ્યો હતો. થોડીવાર બાદ હિરેનની માસુમ પુત્રીએ પોતાના મામાને ફોન કરી પિતા અને ભાઈએ પુલ ઉપરથી નદીમાં ઝંપલાવ્યું છે અને હું અહિં એકલી ઉભી છું તેવી વાત કરી હતી. જેથી હિરેનનો સાળો અને તેના પત્ની ધોરાજી પાસે બનાવ સ્થળે દોડી આવ્યા હતાં.
આ બનાવ અંગે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હિરેનના કૌટુંબીક સસરા કિરીટ ચંપકલાલ જસ્વાલ પણ દોડી આવ્યા હતાં. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું કે હિરેનની પત્ની સાડીના કારખાનામાં મજુરી કામે જતી હોય સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી તે મજુરી કામે જાય છે અને હિરેન રીક્ષા ચલાવતો હોય. બનાવના દિવસે હિરેન પોતાના પુત્ર અને પુત્રીને લઈને ધોરાજી જવા નીકળ્યો હતો અંને સાંજે તેણે વરસાદ હોય સાળાને તેડી જવા માટે ફોન કર્યો હતો. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. હિરેને આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે હજુ સુધી પરિવારજનોને પણ કોઈ જાણ નથી.