રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજી સૂચનો આપશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે. મુખ્યમંત્રી આજે ગુરુવારે બપોરે 3:30 કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચશે અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે.
- Advertisement -
મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે મોડીસાંજે શરૂ થયેલા મેઘતાંડવે સતત ચોથા દિવસે પણ મુકામ કર્યો હતો, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ધમરોળતાં મોડીસાંજ સુધીમાં ધોધમાર 17.75 ઇંચ પાણી વરસી જતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતાં જળપ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. તંત્ર દ્વારા 2000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ છે.