ઘેડ પંથક ફરી જળબંબાકાર થતા અનેક ગામો બેટમાં ફેરવાયા
જૂનાગઢના 9 તાલુકામાં 4 થી 13 ઇંચ વરસાદ: 9 ડેમો ઓવરફલો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અવીરત મેઘ સવારી ગઈકાલથી શરુ થતા સમગ્ર સોરઠ પંથકને ધમરોળતા જન જીવન અસ્ત વ્યસ્ત થતું જોવા મળે છે સોરઠ પંથકમાં 4 ઇંચ થી 13 ઇંચ વરસાદ ખાબકત અનેક સ્ટેટ હાઇવે સાથે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર નદીઓ વહી હતી જેના લીધે અનેક ગામો બેટમાં ફેરવતા ગામ સંપર્ક વિહોણા થયા છે.જયારે ભારે વરસાદના લીધે તમામ નદીઓ ઉફાન પર જોવા મળી હતી અને બે કાંઠે નદીઓ વેહતી થતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા હતા ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તેની સાથે પાણીના પ્રચંડ પ્રવાહના લીધે ખેતરોમાં પાણી ઘુસી જતા ખેતી પાક અને જમીનનું ધોવાણ થતા ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વંથલી અને કેશોદમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસતા જાણે આભ ફાટ્યું તેવા દ્રશ્યો સામે આવ્યા છે.અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ઓઝત, ઉબેણ, મધુવંતી, સાબલી અને ભાદર નદી બે કાંઠે વેહતી થતા તમામ પાણીનો પ્રવાહ ઘેડ પંથકના અનેક ગામોમાં ફરી વળતા ઘેડના અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા સંપર્ક વિહોણા બન્યા છે.આ ચોમાસાની સીઝનમાં બીજી વખત ઘેડ પંથકમાં પાણી ફરી વળતા ફરી ખેતી પાકને નુકશાની જોવા મળી રહી છે.તેની સાથે ખેતીની જમીનનું ધોવાણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ગઈકાલ થી બપોરથી ભારે વરસાદ શરુ થતા ઘેડ પંથક ગામો બેટમાં ફેરવતા રાહત કામગીરી શરુ કરવામાં આવી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં હોડી દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથમાં વેરાવળ સહીત સુત્રાપાડા, ઉના, ગીર ગઢડા સહીત તાલુકામાં ભારે વરસાદ વરસતા દ્રોણેશ્વર સહીત અનેક નદીઓ બે કાંઠે વહેતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ભારે વરસાદના લીધે અનેક ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘુસી જતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું હતું તેની સાથે સોરઠ પંથકમાં અનેક સ્ટેટ હાઇવે અને ગ્રામ્ય વિસ્તારના કોઝવે તેમજ રસ્તા તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
- Advertisement -
24 કલાકમાં જૂનાગઢના તાલુકામાં 4થી 13 ઇંચ વરસાદ
જૂનાગઢ સિંચાઈ વિભાગના 17 ડેમ માંથી 9 ડેમ ઓવરફલો
જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તકના કુલ 17 ડેમોમાં ભારે વરસાદના પગલે નવા નીરની અવાક થતા 9 ડેમો ઓવરફલો થયા છે.જેમાં પાંચ ડેમો ફરી ઓવરફલો થયા છે જેમાં બાંટવા ખારો, સાંબલી, ઓઝત બે, આંબાજળ, શાપુર ઓઝત, વંથલી ઓઝત, આણંદપુર, ઉબેણ અને ભાખરવડ ડેમનો સમાવેશ થાય છે જયારે 9 ડેમો ઓવરફલો થતા નીચાણવાળા 60 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.અને આંબાજળ ડેમના એક દરવાજો 0.3 ફૂટ ખોલાવવામાં આવ્યો છે.આમ અન્ય ડેમોમાં પણ 70 ટકા જેટલા પાણી અવાક જોવા મળી રહી છે.ડેમોમાં નવા નીરની અવાક થી પાણી સમસ્યા હલ થતી જોવા મળે છે.