ઉપલેટામાં ચોખ્ખું પાણી ન મળતાં કારખાનાના કૂઆ-બોરનું પાણી પીતાં 48ને ઝાડા-ઊલટી થયાં હતાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
ઉપલેટા પંથકમાં શનિવારે કોલેરાથી 4 બાળકનાં મૃત્યુ નીપજ્યાં બાદ 2 બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. એ બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રે જણાવ્યું છે, આથી કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. તપાસ કરતાં આ ગરીબ મજૂરો ગંદા લત્તામાં પ્લાસ્ટિકના વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખું, ફિલ્ટર અને જીવાણુમુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું, આથી કૂવા, બોરનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર હતા અને એ કારણે 48 લોકોને ઝાડા-ઊલટી થયાં હતાં. કોલેરાનો રોગ પ્રસરતાં સ્થાનિકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
કોલેરા જાહેર થાય તો એ આખો વિસ્તાર જોખમી જાહેર કરવામાં આવતો હોય છે. આ રોગચાળા અન્વયે સીએચઓ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, મેલ અને ફીમેલ હેલ્થવર્કર, આશાવર્કર, આરોગ્ય કેન્દ્રના મેલ અને ફીમેલ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થના બન્ને સુપરવાઈઝર વગેરે કુલ 10 કર્મચારીને શો-કોઝ નોટિસ અપાઇ છે. ખુલાસા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઉપલેટાના આ વિસ્તારમાંથી ઝાડા-ઊલટીના 48 કેસ મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે નર્મદાની પાઈપલાઈન નજીકમાંથી પસાર થતી હતી, પરંતુ કારખાનેદારોએ નિયમ અનુસારના પૈસા ભરીને મજૂરો માટે ચોખ્ખા પાણીના નળ જોડાણ લીધાં નહોતાં.
કારખાનેદારો બોટલનું ફિલ્ટર પાણી પીતા હતા. જ્યારે મજૂરો જે વિસ્તારમાં પાણી પીતા એ વિસ્તારમાં પાણીના નમૂના લેવાતાં એ અત્યંત પ્રદૂષિત હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. એટલું જ નહીં, આ ગરીબો જ્યાં કાચાં ઝૂંપડાં જેવા સ્થળે રહેતા હતા એની બાજુમાં જ પ્લાસ્ટિકના પ્રદૂષિત કચરાના મોટા ગંજ હતા. એકંદરે સૌરાષ્ટ્રમાં કારખાનાઓથી માંડીને બાંધકામમાં ગરીબ મજૂરો કામ કરતા હોય છે, જેમાં ઘણા પરપ્રાંતીયો હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રના આરોગ્ય માટે તેમનું આરોગ્ય જાળવવું પણ જરૂરી છે. આ અન્વયે સરકારનાં તમામ ખાતાંએ આ મજૂરો કેવી સ્થિતિમાં ક્યાં વસે છે, કેવું પાણી પીવે છે, કેવો ખોરાક ખાય છે એની તપાસ કરીને કાર્યવાહી કરવાની પણ જરૂર છે.
ઉપલેટાનાં ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં કામ કરતા મજૂરોના કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામનાં 4 બાળકનાં પાંચ દિવસ પહેલાં કોલેરાથી મોત થયાં હતાં. થોડા દિવસ પહેલાં જ બાળકોની તબિયત બગડી હતી. એ બાદ આ બાળકોને સારવારમાં અલગ-અલગ જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાળકોનાં મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
- Advertisement -
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના જણાવ્યા અનુસાર, ઉપલેટાના તાણસવા ગામે પલ્સ પોલિયો અભિયાન દરમિયાન અમુક ઝાડા-ઊલટીના કેસો સામે આવ્યા હતા, જ્યારે જામનગરથી કોલેરાનો એક કેસ સામે આવતાં જ અહીં સર્વેલન્સ ટીમો ઉતારવામાં આવી હતી. 24 કલાક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ખડેપગે રાખવામાં આવી છે. ઝિંક અને ઘછજની દવાઓ પણ આપવામાં આવી રહી છે. રાજકોટની સિવિલમાંથી નિષ્ણાત તબીબોની ટીમો બોલાવવામાં આવી છે અને દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં એક પણ જવાબદારને છોડાશે નહીં: કલેકટર પ્રભવ જોશી
પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે ચાર બાળકોના કોલેરાથી મૃત્યની ઘટના અંગે જાણ થયા બાદ પાણી પુરવઠા બોર્ડ અને જીપીસીબી પાસે અલગ અલગ ફેક્ટરીઓમાંથી પાણીના સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. બેક્ટેરિયાનું અને બીમારી ફેલાઇ તેવા તત્ત્વોનું પ્રમાણ વધુ હોવાનો રિપોર્ટ આવ્યા તેના કારણે જ કોલેરા ફેલાયાનું અને ચાર માસૂમ બાળકોનું મૃત્યુ થયાનું સ્પષ્ટ બન્યું છે. આથી ઉપલેટા મામલતદારને તાત્કાલિક અસરથી આ છ ફેક્ટરીઓના બોર અને કૂવા સીલ કરવાના આદેશ કર્યા હતા. તેમજ આ છ ફેક્ટરીના માલિકો સામે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે. આ પ્રકરણમાં એક પણ જવાબદાર ને છોડાશે નહીં.
કર્મચારીઓની બેદરકારી અંગે તપાસના આદેશ
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંઘે જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કારખાનેદારોની જવાબદારી છે કે તેઓએ અમને ઘટના અંગે જાણ કરી ન હતી. આથી આ કારખાનેદારોને નોટિસ આપી ‘તમારા કામદારોના અનઅપેક્ષિત મૃત્યુ થયા તો શા માટે જાણ ન કરી’ તેનો ખુલાસો પૂછાવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેદરકારી સંદર્ભે પણ વર્ગ-1ના ક્લાસ અધિકારી હેઠળ 3 અધિકારીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ક્યાં કચાશ રહી ગઈ? શા માટે આવડી મોટી ઘટનાની જાણ આટલી બધી મોડી થઈ? તેની તપાસ કરી કાર્યવાહી કરાશે.