ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર વિશ્ર્વમાં તારીખ 21મી જુનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું વોર્ડ કક્ષાનું આયોજન તા. 19-12ના રોજ, ઝોન કક્ષાનું આયોજન તા.23-12નાં રોજ અને મહાનગરપાલિકા કક્ષાનું આયોજન તા. 26-12ના રોજ કરવામાં આવેલ છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધાના આયોજન અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવા માટે મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા તથા સભ્યોે, નાયબ કમિશનર અનિલ ધામેલિયા અને હર્ષદ પટેલ ઉપરાંત જિલ્લા રમતગમત વિકાસ અધિકારી રમાબેન મધરા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે રાજકોટમાં આશરે 23 હજાર જેટલા સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. વોર્ડ કક્ષા, ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતાઓ તા. 1-1ના રોજ મોઢેરા સ્થિત સૂર્ય મંદિરે નવા વર્ષના પ્રથમ કિરણ સાથે રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેશે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા પૂર્વે ટ્રેઈનર દ્વારા સ્પર્ધકો માટે પ્રેક્ટિસ સેશન પણ રાખવામાં
આવનાર છે.
આ સ્પર્ધા માટે 0થી 18 સુધીની વય, 18થી 40 સુધીની વય અને 40થી વધુની વય માટેના ત્રણ જૂથો બનાવવામાં આવેલ છે. વોર્ડ કક્ષા, ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓ માટે સ્થળ નિયત કરવામાં આવી રહ્યા છે.