ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટની જ્યુબિલી શાકમાર્કેટનો પૂલ અતિ જર્જરિત હાલતમાં છે. અંદાજે 75 જેટલા વર્ષ પહેલાં બનેલા આ પુલ પરથી ઢેબર રોડ ઉપર સ્ટેશન હતું, ત્યારે ટ્રેન પસાર થતી હતી. હાલ અહીં જ્યુબિલી શાકમાર્કેટ આવેલી છે અને આ પુલની આસપાસ અનેક દુકાનો પણ છે. તેમજ રોજના હજારો વાહનોની અવરજવર આ પુલ ઉપરથી થાય છે. છતાં તંત્ર દ્વારા વર્ષોથી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. જેને કારણે વર્ષો જૂનો આ પુલ મરમ્મતના અભાવે ખંઢેર હાલતમાં પડયો છે. પુલમાં ગાબડા પડી ગયા અને નીચેના પીલોર પણ જર્જરિત થઇ ગયા છે. ત્યારે હવે સર્વેશ્ર્વર ચોક જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલાં આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.
- Advertisement -
આ પુલ ઉપર 47 વર્ષથી મેડિકલ સ્ટોર ધરાવતા વેપારી જવાહરભાઈ પંજાબીએ જણાવ્યું હતું કે, આ પૂલ 75 વર્ષ જુનો છે. આ બનાવ્યા બાદ તંત્રએ એકપણ વખત સમારકામ કરવાની તસ્દી લીધી નથી. પુલનું બાંધકામ હાલ જર્જરિત થઈ ગયું છે. પુલમાં ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા છે અને વોકળામાં પીલર હોવાથી પીલર પણ નબળા પડી ગયા છે. આ શહેરની મુખ્ય માર્કેટ હોવાથી દરરોજ અહીંથી લાખો વાહનોની અવરજવર રહેતી હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પુલ પરથી બોલેરો-છોટાહાથી સહિતના ભારે વાહનો માલની અવરજવર માટે પસાર થતા હોય છે. જ્યારે શાકભાજી સહિતની ખરીદી કરવા આવતા લોકોના ટુ વહીલર, ફોર વહીલર અને રિક્ષાઓ સહિતના વાહનો દરરોજ મોટી સંખ્યામાં પસાર થાય છે. ત્યારે સર્વેશ્ર્વર ચોક જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલાં આ પુલનું સમારકામ કરવા અમે રજૂઆત કરી છે. હાલ 75 વર્ષ જુનો આ પુલ મરણ પથારીએ છે અને તંત્ર દુર્ઘટનાની રાહમાં હોય તેવું લાગી રહ્યું છે.આ પુલ વોકળા ઉપર આવેલો છે અને વોકળો પતરાઓ વડે ઢાંકેલો પણ નથી. જેના કારણે લોકો અહીં સડેલું શાકભાજી, નાસ્તાના ખાલી રેપર સહિતનો તમામ કચરો ઠાલવી રહ્યા છે, જેને કારણે ગંદકી પણ ફેલાઈ રહી છે. જ્યારે ફરિયાદ કરીએ ત્યારે માત્ર ઉપર ઉપરથી કચરો સાફ કરીને કર્મચારીઓ જતા રહે છે. આ પુલ કોઈ મોટી દુર્ઘટના સર્જે અને મોટું જાનમાલનું નુકશાન થાય તેનાં પહેલા તેનું સમારકામ કરવામાં આવે અને કચરો ઠાલવી શકાય નહીં, તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માગ છે.



