માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળયા હતા: ચાર માસૂમોનાં મોતથી પરિવારો શોકમાં ગરકાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
જસદણથી પંથકમાં આવેલા બાખલવડ ગામના આલણસાગર તળાવમાં કરુણાંતિકા સર્જાઈ છે ઘરે કહ્યા વિના નીકળી ગયેલા શ્રમિક પરિવારના ચાર બાળકો ન્હાવા પડયા બાદ ડૂબી જતા ચારેયના મોટ નિપજતા શ્રમિક પરિવારો શોકમાં ગરકાવ થઇ ગયા છે. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એક પછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.
આલણસાગર તળાવમાં બાળકો ડૂબી ગયા હોવાની શંકાએ સ્થાનિક લોકોએ જાણ કરતા જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ રામુ ભાયાભાઈ રાઠોડ ઉ.14, કાળુ ભરતભાઈ રાઠોડ ઉ.10, રાજવીર સામતભાઈ રાઠોડ ઉ.15 અને કિશન મનસુખભાઈ રાઠોડ ઉ.15 મળી આવતા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી એક સાથે ચાર બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



