નિવૃત પોલીસમેન, જીઆરડી જવાન અને શાકભાજીના વેપારીનું હૃદય રોગના હુમલાથી મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હાર્ટએટેકથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ આજે વધુ ત્રણ લોકોના હ્રદય રોગના હુમલાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના જસદણના ભાડલા ગામે રહેતા અને ભાડલા પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા લલિત પરશુરામ નિમાવત ઉ.37 નામના યુવકને ગત બપોરે ગભરામણ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ઈમરજન્સી રૂમમાં તેનું સારવાર દરમિયાણ મોત થયું હતું બનાવની જાણ થતાં ભાડલા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પીએમ રીપોર્ટમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું હતું યુવકના મોતથી 1 પુત્ર અને 1 પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જ્યારે શહેરના કાલાવડ રોડ ઉપર રામધામ સોસાયટીમાં રહેતા ધીરુભાઈ ગાંડુભાઈ વીરડા ઉ.60 નામના નિવૃત્ત પોલીસમેન ગત મોડી રાત્રે ઘરે અચાનક બેભાન થઇ ઢળી પડતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ધીરુભાઈ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા રાજકોટ-મોરબી જિલ્લો સાથે હતો ત્યારે તેઓએ રૂરલ એલસીબીમાં હતા થોડા વર્ષો પહેલા તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી. તેઓ મૂળ મોરબીના સોનગઢ ગામના વતની છે ધીરૂભાઇને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત જયપ્રકાશનગરમાં રહેતા રાજુભાઈ દાનાભાઈ સોલંકી ઉ.53 નામના આધેડ ગત સાંજે જયૂબેલી માર્કેટમાથી ઘરે જતા હતા ત્યારે પારેવડી ચોક પાસે પહોંચતા ગભરામણ થવા લાગતા પુત્રને ફોન કરી જાણ કરતાં પુત્ર દોડી આવ્યો હતો અને પિતાને સરવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. રાજુભાઈ શાકભાજીનો ધંધો કરતા હોવાનું અને સંતાનમાં 3 દીકરી અને 2 દીકરા તેમજ તે 7 ભાઈમાં છઠ્ઠા નંબરના હોવાનું જાણવા મળ્યું છે. આધેડનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે.