મંત્ર-જાપ કરતી વખતે કેટલાક લોકો મોટેથી મૌખિક ઉચ્ચારણ કરે છે અને કેટલાક લોકો મુખથી ઉચ્ચારણ કરવાને બદલે મનમાં જ મંત્ર-જાપ કરે છે. આ બેમાંથી વધારે સારું શું ગણાય? પૂજ્યશ્રી રમણ મહર્ષિ આ વિશે સુંદર માર્ગદર્શન આપી ગયા છે. મૌખિક ઉચ્ચારણ કરતી વખતે ધ્વનિ ઉત્પન્ન કરવો પડે છે, ધ્વનિનો જન્મ વિચારોમાંથી થાય છે. મનુષ્ય નિશ્ચિત સમય માટે મૌખિક ઉચ્ચારણ અવશ્ય કરી શકે પરંતુ સતત મંત્ર-જાપ કરવા માટે ધ્વનિ ઉચ્ચારણ કરવામાં મુશ્કેલી પડે છે. મનોમન થતો જાપ સતત, અવિરત ચાલુ રહી શકે છે. મન વિચારોમાંથી બને છે બીજી રીતે કહી શકાય કે જ્યાં વિચારો જન્મે છે તે મન છે. તમે જ્યારે સતત, અવિરત મનોમન મંત્ર-જાપ કરો છો ત્યારે તમને સમજાય છે કે આ મંત્ર-જાપ ક્યાંથી થાય છે. મનુષ્યના મનમાં સતત વિચારો ચાલતા રહે છે. આમ, આ અસંખ્ય વિચારોને બદલે મનમાં એક જ વિચાર ચાલુ રાખવો તેનું નામ ધ્યાન. આ એક જ વિચાર એટલે મનથી થતો મંત્ર-જાપ. જ્યારે મંત્ર-જાપ અજપાજપની કક્ષાએ પહોંચી જાય ત્યારે સમજવું કે આપણું ચિત્ આપણા આત્માની સાથે જોડાઈ ગયું છે. જ્ઞાનની આ શ્રેષ્ઠ અવસ્થા કહી શકાય.
Follow US
Find US on Social Medias