જળવાયુ પરિવર્તન સ્ટ્રેટેજી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના મેનિફેસ્ટો ખૂબ ઊણાં સાબિત થયા છે
આ વર્ષની સામાન્ય ચૂંટણી ભારે ગરમીની સ્થિતિમાં યોજાઈ રહી છે, જે આગામી સપ્તાહોમાં હજુ વધવાની ધારણા છે.
હવામાનશાસ્ત્રીઓએ બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકના ભાગો માટે હીટવેવની ચેતવણી જાહેર કરી હતી, જ્યાં 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયું હતું. જ્યાં મતદાનમાં જોવા મળેલો ઘટાડો અને કેન્દ્રીય મંત્રીના મૃત્યુ માટે હીટવેવને જવાબદાર ગણવામાં આવે છે અને આની પાછળનું કારણ ક્લાઈમેટ ચેન્જ માનવામાં આવે છે ત્યારે સામાન્ય મતદારો અને રાજકીય પક્ષો માટે આ મુદ્દો કેટલો મહત્વનો છે એ જાણવું રસપ્રદ રહેશે.
- Advertisement -
ગત વર્ષ ભારત માટે અત્યાર સુધીનું બીજું સૌથી ગરમ વર્ષ હતું. તો છેલ્લાં પાંચ વર્ષોમાં, દેશે અતિવૃષ્ટિ, પૂર, દુષ્કાળ અને ગરમીના મોજા સહિત અનેક આબોહવા પરિવર્તન પ્રેરિત આપત્તિઓનો સામનો કર્યો છે, જેના કારણે જીવન અને સંપત્તિનું નુકસાન થયું છે અને સામાન્ય જીવનમાં મોટા વિક્ષેપો થયાં છે. ભારતમાં 2023માં ભારે હવામાનની ઘટનાઓ જોવા મળી. ચક્રવાત મિચાંગને કારણે ચેન્નાઈમાં પૂર આવ્યું, જેના કારણે જાનહાની અને આજીવિકાનું નુકસાન થયું. યમુનાએ દિલ્હીમાં 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારો ડૂબી ગયા. હિમાચલ પ્રદેશમાં તબાહી સર્જાઈ અને રસ્તાઓ, હાઈવે, મકાનો અને દુકાનો ધરાશાયી થયાં. સમગ્ર દેશમાં વરસાદમાં અવકાશી અને અસ્થાયી ભિન્નતા દર વર્ષે મોટા પડકારો ઉભા કરે છે.
આ વર્ષની શરૂઆતમાં, યુએન એજન્સી, વિશ્વ હવામાન સંસ્થાએ જણાવ્યું કે આ વર્ષ પાછલાં 173 વર્ષોમાં સૌથી ગરમ વર્ષ હશે. વૈશ્વિક સરેરાશ તાપમાને પ્રથમ વખત 1.5 ડિગ્રી સેલ્સિયસ માર્કનો ભંગ કર્યો છે. ઠખઘ સેક્રેટરી-જનરલ, સેલેસ્ટે સાઉલોએ સ્વીકાર્યું હતું કે “આબોહવા પરિવર્તન એ માનવતા દ્વારા સામનો કરવામાં આવેલ સૌથી મોટો પડકાર છે.
ભારતની 80 ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં જળવાયુ પરિવર્તન સંબંધિત આપત્તિઓનું સીધું જોખમ
- Advertisement -
વિશ્વબેંકનાં રિપોર્ટ અનુસાર, ભારતની 80 ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં જળવાયુ પરિવર્તન સંબંધિત આપત્તિઓનું સીધું જોખમ રહેલું છે. અહીં વધતું તાપમાન, વરસાદની પેટર્નમાં ફેરફાર, ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો, ગ્લેશિયર્સ પીગળવા અને સમુદ્રનું સ્તર ઘટવાથી આજીવિકા, ખાદ્ય સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે.
જ્યાં એકબાજુ દેશના મોટાભાગના લોકોએ એક યા બીજી રીતે આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો પ્રત્યક્ષ સીધો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં આબોહવા સંબંધિત મુદ્દાઓને ભાગ્યે જ કોઈ પક્ષ વ્યવહારુ મહત્વ આપે છે. ગયા વર્ષે ડેલોઇટે એક સર્વેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં પ્રથમ વખતના 1.8 કરોડથી વધુ મતદારો માટે જળવાયુ પરિવર્તન ત્રીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. આમ છતાં ચૂંટણી પ્રચારમાં આ મુદ્દાની સહેજ પણ ચર્ચા થઈ નથી.
અલબત્ત, બીજેપી અને કોંગ્રેસ બંનેએ તેમના મેનિફેસ્ટોમાં આબોહવા એજન્ડા રજૂ કર્યા છે. પરંતુ તેમની પાસે વિશિષ્ટતાઓનો અને અસરકારક વ્યવહારિક યોજનાઓનો અભાવ છે. જો કે મેનિફેસ્ટો એ હેતુઓનું નિવેદન છે, નીતિ ઘડતરનો દસ્તાવેજ નથી.
ભાજપ-કોંગ્રેસનો મેનિફેસ્ટોમાં ‘જળવાયુ’ અંગે શું કહેવામાં આવ્યું છે
પર્યાવરણીય અધોગતિને લઈને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ‘જળવાયુ’ શબ્દ 10 વખત જોવા મળે છે. કોંગ્રેસના ન્યાય પત્રમાં ’પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ને લઈને અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. જ્યારે બીજેપીના ’મોદીની ગેરંટી 2024’ના નામે જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં તેનો ચાર વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
બન્ને પાર્ટીઓના મેનિફેસ્ટોમાં ઘણી સામાન્ય બાબતો છે.બંને પક્ષોએ વન આવરણ વિસ્તારવા, દરિયાકાંઠાની ઇકોસિસ્ટમનું રક્ષણ, માનવ-પ્રાણી સંઘર્ષ ઘટાડવા અને વાયુ પ્રદૂષણ ઘટાડવાનું વચન આપ્યું છે.
ભાજપે મુખ્યત્વે જળવાયુ પરિવર્તન મુદ્દે જે નીતિઓ અને કાર્યક્રમોનો અમલ કરી રહ્યો છે તેને વિસ્તૃત અથવા મજબૂત બનાવવાનું વચન આપ્યું છે, જ્યારે કોંગ્રેસ દસ વર્ષથી સત્તામાંથી બહાર રહીને કેટલાક રસપ્રદ નવા વિચારો સાથે આવી છે. બંને મેનિફેસ્ટોમાં આ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, જે દર્શાવે છે કે રાજકીય પક્ષો આ વિષય અને તેની અસરો અંગે ચિંતિત છે.
જળવાયુ મુદ્દે ભાજપના વચનો
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) જેવી પહેલોને મજબૂત કરવા અને ઝીરો કાર્બન ઈમિશન હાંસલ કરવાનો છે. ભારતે 2021માં COP26માં આ અંગે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં માત્ર એક જ નવી બાબત ’મૌસમ’ છે. ‘મૌસમ’નામનું નવું રાષ્ટ્રીય એટમોસ્ફિયરિક મિશન શરૂ જેનો ઉદ્દેશ્ય ભારતને ’ક્લાઇમેટ સ્માર્ટ’ બનાવવાનો છે. ભાજપે ભારતને સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી માટે વૈશ્વિક કેન્દ્ર તેમજ વિંડ, સોલર અને ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનું વચન આપ્યું છે. ભાજપ સરકારે તાજેતરમાં ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે જળ સંરક્ષણ જેવા મુદ્દાઓ સાથે સંબંધિત છે. ભાજપે તેના ઢંઢેરામાં ડેમ નિર્માણ, અમૃત સરોવર નિર્માણ અને બેસિન મેનેજમેન્ટને એકીકૃત કરવાનું વચન આપ્યું છે. બીજેપી મેનિફેસ્ટોએ અન્ય નદીઓ માટે પણ નમામિ ગંગે જેવા કાર્યક્રમો શરૂ કરવાનું વચન આપ્યું છે, જેનો ઉદ્દેશ્ય તે નદીઓના સ્વાસ્થ્યમાં ઉત્તરોત્તર સુધારો કરવાનો છે.
જળવાયુ મુદ્દે કૉંગ્રેસના વચનો
એ ઘણી રસપ્રદ વાત છે કે, કોંગ્રેસે જળવાયુ પરિવર્તનના મોરચે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને સંપૂર્ણપણે નકારી કાઢ્યાં નથી. તેણે 2070 સુધીમાં ઝીરો કાર્બન ઈમિશન લક્ષ્ય સહિત આ સરકાર દ્વારા કરવામાં આવેલી ઘણી પ્રતિબદ્ધતાઓને સ્વીકારી છે, અને તે તરફ કામ કરવાનું વચન આપ્યું છે. તેમજ ગઈઅઙ અને માનવ-પ્રાણી સંઘર્ષ ઘટાડવા જેવા કેટલાક વચનો છે, જે ભાજપે પણ કર્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જ ઓથોરિટી અને ગ્રીન ટ્રાન્ઝિશન ફંડની સ્થાપના કરવા ઉપરાંત કોંગ્રેસે 2013ના મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટને ફરીથી અમલમાં મૂકવાનું વચન આપ્યું છે. આ સિવાય કોંગ્રેસે ક્લાઈમેટ ચેન્જ પર નેશનલ એક્શન પ્લાન શરૂ કરવાની પણ વાત કરી છે. ગ્રીન ટ્રાન્ઝિશન ફંડ ઉપરાંત, ગ્રીન ન્યૂ ડીલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે, જેમાં નવી નોકરીઓનું સર્જન કરવાનો દાવો છે. તેમજ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સમસ્યાને રોકવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનું વચન પણ આપ્યું છે.
કોંગ્રેસ દ્વારા આગળ મૂકવામાં આવેલ એક મહત્વપૂર્ણ નવો વિચાર ’ઇન્ડિપેન્ડન્ટ’ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અને ક્લાયમેટ ચેન્જ ઓથોરિટીનો છે, જે સેન્ટ્રલ અને સ્ટેટ લેવલે ઈનવાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ અને તેના એક્શન પ્લાન્સની દેખરેખ અને અમલીકરણ કરશે. એમ કહી શકાય કે અહીં એકલદોકલ મુદ્દાને બાદ કરતાં જૂની નીતિઓનું નવાં સ્વરુપે અમલમાં મુકવાની વાત છે. બન્ને પક્ષના જળવાયુ ચુંટણી એજન્ડા વચ્ચે જો કે, નિષ્ણાતો કહે છે કે આ બધું જળવાયુ પરિવર્તન સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે પૂરતું નથી. મુંબઈ સ્થિત દેબશ્રી દાસનું કહેવું છે કે એક ફેશન મેગેઝીનના સર્વે મુજબ ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 87% કપડા લેન્ડફિલમાં નાખવામાં આવે છે. આ મુજબ, દર વર્ષે 40 મિલિયન ટન વજનના કપડાં લેન્ડફિલમાં જાય છે. દેબાશ્રી કહે છે કે આ કચરાને ઘટાડવા માટે સખત કડક પગલાં લેવાની જરૂર છે.
22 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ પૂર્ણિમા સાઈ કહે છે કે આ બધા કાગળ પરના વચનો છે અને જમીન પર બહુ ઓછું કામ થઈ રહ્યું છે. ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે શહેરી વિકાસને કારણે પર્યાવરણ પર અસર ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.જો ભારતે 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવું હોય તો પાવર સેક્ટરમાં સુધારો કરવો જરૂરી છે. આ માટે 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઊર્જાને 500 ગીગાવોટ સુધી લાવવી પડશે. આ સિવાય 2030 સુધીમાં એક અબજ ટન કાર્બન ઉત્સર્જન પણ ઘટાડવું પડશે. આ કરવું પડશે કારણ કે કાર્બન ઉત્સર્જનમાં પાવર સેક્ટરનો હિસ્સો લગભગ 34 ટકા છે.
હજુ પણ મોટાભાગની વીજળીની જરૂરિયાત કોલસા દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. આજના સમયે 75 ટકા વીજળી કોલસામાંથી ઉત્પન્ન થઈ રહી છે. ઈંઈંખ, કોલકાતાના અર્થશાસ્ત્રના પ્રોફેસર મૃત્યુંજય મોહંતીએ જણાવ્યું હતું કે બન્નેમાંથી એકેય પક્ષનો એજન્ડા 2023 રેકોર્ડ પરનું સૌથી ગરમ વર્ષ હોવાના પરિણામોની ગંભીરતા અને બચાવ સાથે જોડાયેલ નથી. તેઓ કહે છે કે વધતા તાપમાને વીજળીના માંગમાં વધારો થયો છે. હવે હાઇડ્રોપાવરની અછતને કારણે તેની આપૂર્તિ અશ્મિભૂત ઇંધણ દ્વારા પૂરી કરવામાં આવશે આ બાબત પોતે જ આબોહવા પરિવર્તનનું પરિણામ અને નિમિત્ત છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણ એ જેન-જી મતદારો માટે સૌથી મોટી ચિંતા છે તેમ છતાં, આ અંગે પક્ષોના મેનિફેસ્ટોમાં કોઈ નક્કર વચનો આપવામાં આવ્યા નથી.