કામદા એકાદશીનું વ્રત કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ મળે છે. આ વર્ષે કામદા એકાદશી ક્યારે છે અને આનું પૂર્ણ ફળ મેળવવાની રીત જાણો
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશી હોય છે, આ દિવસે વ્રત રાખવામાં આવે છે. કામદા એકાદશીનું વ્રત રાખવાથી અને આ દિવસ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી ઘણો લાભ મળે છે. એવી માન્યતા છે કે કામદા એકાદશીનાં દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. ઉપરાંત આ વ્રત કરવાથી મોક્ષ પણ મળે છે. આ વર્ષે કામદા એકાદશીનું વ્રત 19 એપ્રિલ શુક્રવારના રોજ રાખવામાં આવશે. એમ તો શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવામાં આ વખતે કામદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિશેષ છે.
- Advertisement -
કામદા એકાદશીનું મહત્ત્વ
ધાર્મિક શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીનાં વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે. કામદા એકાદશીનાં વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. જે વ્યક્તિ આ કથા વાંચે કે સંભાળે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો 100 યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે.
કામદા એકાદશી વ્રત કથા
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કામદા એકાદશીની કથા સંભળાવી હતી. જે અનુસાર, પ્રાચીન કાળમાં પુંડરિક નામનો એક રાજા હતો, જે ભોગ અને વિલાસમાં મગ્ન રહેતો હતો. તેના રાજ્યમાં લલિત અને લલિતા નામના સ્ત્રી-પુરુષો રહેતા હતા. બંને વચ્ચે અપાર પ્રેમ હતો. એક દિવસ લલિત રાજાના દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો પણ ત્યારે જ તેનું ધ્યાન તેની પત્ની પર ગયું અને તેનો સ્વર બગડી ગયો. આ જોઈને રાજા પુંડરિક ક્રોધિત થઈ ગયા અને તેને લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો.
શ્રાપના પ્રભાવથી લલિત માંસનું ભક્ષણ કરનાર રાક્ષસ બની ગયો. લલિતની પત્ની પોતાના પતિની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણીએ તેના પતિને ઠીક કરવાના ઘણા પ્રયાસો કર્યા. ત્યારે કોઈએ તેને શ્રૃંગી ઋષિ પાસે જવાનું કહ્યું. લલિતા વિંધ્યાચલ પર્વત પર સ્થિત શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ અને તેને તેના પતિની આખી હાલત જણાવી. ઋષિએ લલિતાને મનોકામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત રાખવા કહ્યું. સાથે જ ઋષિએ એમ પણ કહ્યું કે જો તે કામદા એકાદશીનું વ્રત કરે છે તો તેના પુણ્યને કારણે તેનો પતિ લલિત ફરીથી માનવ યોનિમાં આવી જશે.