મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષની એક અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લાના સિંદેવાહી તાલુકા અંતર્ગત આવતા ગુંજેવાહી વિસ્તારમાં શુક્રવારે સવારે એક હિંસક વાઘે અચાનક હુમલો કરીને તેંદુપત્તા એકઠા કરવા ગયેલી ચાર ગ્રામીણ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી છે. ચંદ્રપુરના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી અને કમકમાટીભરી ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે, જ્યાં એક જ સમયે વાઘના હુમલામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુંજેવાહી ગામની રહેવાસી આ મહિલાઓ દરરોજની જેમ શુક્રવારે સવારે પણ ગામની નજીક આવેલા ગીચ જંગલમાં તેંદુપત્તા તોડવા માટે ગઈ હતી. મહિલાઓ જ્યારે જંગલમાં પોતાના કામમાં વ્યસ્ત હતી, ત્યારે જ ઝાડીઓમાં છુપાઈને બેઠેલા એક વાઘે તેમના પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. જંગલની અંદર ચીસાચીસ થવા લાગી હતી, પરંતુ જ્યાં સુધી કોઈ તેમની મદદ માટે પહોંચે તે પહેલા જ વાઘે ચારેય મહિલાઓને બહુ ખરાબ રીતે લોહીલુહાણ કરીને મારી નાખી હતી.
- Advertisement -
સમગ્ર પંથકમાં અરેરાટી અને ગ્રામીણોમાં ભારે રોષ
એક સાથે ચાર મહિલાઓના સામૂહિક શિકારના સમાચાર જેવા ગામમાં પહોંચ્યા કે તરત જ સમગ્ર વિસ્તારમાં કોહરામ મચી ગયો હતો અને અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ભારે સુરક્ષા બળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહોને કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ભયાનક દુર્ઘટના બાદ સ્થાનિક ગ્રામીણોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામીણોનો આરોપ છે કે ચંદ્રપુર જિલ્લામાં વાઘ અને દીપડાના હુમલા સતત વધી રહ્યા છે, પરંતુ વન વિભાગ વન્યજીવોને રહેણાંક વિસ્તારો અને બફર ઝોનથી દૂર રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતા આજે ચાર નિર્દોષ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.




