મતદાર જાગૃતિ સહિતની સભા-સરઘસ-યાત્રાઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા જિલ્લા તંત્રને આદેશ
અમદાવાદમાં ચૂંટણી સમયે કાળા વાવટા દર્શાવવા પર પ્રતિબંધનો વિવાદ પણ હાઈકોર્ટમાં જશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી,તા.20
ગુજરાતમાં હાલ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂૂપાલા સામેના આંદોલનમાં ગઈકાલે જ અમદાવાદ પોલીસ કમિશ્ર્નર જાહેરનામામાં ઉમેદવારની સભા-સરઘસ કે તેમના પ્રચાર સમયે કાળા વાવટા દર્શાવવા પર પ્રતિબંધ મુકયો તે મુદો હવે ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવા ક્ષત્રિય સમાજે નિર્ણય લીધો છે તે વચ્ચે હવે ચુંટણી સમયે જે રીતે જીલ્લા કલેકટર દ્વારા કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જે રીતે આડેધડ જાહેર થાય છે તે પણ સુપ્રીમકોર્ટની એરણ હેઠળ છે.હાલ મતદાર જાગૃતિ માટે સભા કે યાત્રા આયોજન અંગે મંજુરી માંગતી અરજીઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા જીલ્લા કલેકટર સહિતની ઓથોરીટીને આદેશ આપ્યો છે.
ગઈકાલે એક ખાસ સુનાવણીમાં સુપ્રીમકોર્ટે જણાવ્યું કે ચુંટણીમાં મતદાન સહિતના મુદે લોકોમાં જાગૃતતા આવે તે માટે યાત્રા કે જનસભા કે તેવા આયોજન થતા હોય તો તે માટે મંજુરી માંગતી અરજીઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. આ બાદ સુપ્રીમકોર્ટ કલમ 144 હેઠળ જે પ્રતિબંધાત્મક આદેશો ચુંટણી સમયે જાહેર કરવામાં આવે છે તેને પડકારતી રીટ અરજી પર પણ સુનાવણી કરવા તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી.આર.ગવઈની ખંડપીઠ સમક્ષ દલીલ કરવામાં આવી કે ચુંટણી છે એટલે તેના આધારે જ કલમ 144નો અમલ જાહેર કરી દેવામાં આવે છે. પણ તેનાથી લોકોના ચુંટણી મુદાઓ સમજવાના કે મતદાન માટેની જાગૃતતા લાવવા માટેના જે આયોજનો થાય છે તે પણ યોજી શકાતા નથી.
- Advertisement -
સર્વોચ્ચ અદાલતે તે બાદ મતદાર જાગૃતી માટે સભા-યાત્રા કે તેવા કાર્યક્રમો માટે મંજુરી માંગતી અરજીઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા જણાવ્યું છે. સામાજીક કાર્યકર્તા નિખીલ ડે અને અરણા રાયની અરજી પરથી આ આદેશ આપ્યો હતો તો હવે ચુંટણી સમયે કલમ 144 હેઠળના પ્રતિબંધાત્મક આદેશમાં સુપ્રીમ કોર્ટે તેની યોગ્યતા અંગે વિચારણા કરવાની તૈયારી કરી છે જે અંગે હવે સુનાવણી થશે.