રઘુ શર્માએ કહ્યું હતું કે, ત્રણેય નેતાઓનું પાર્ટીમાં સ્વાગત છે, જગદીશ ઠાકોરે પણ સ્વાગત અંગે સંકેત આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણીઓની સીઝન આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જૂના સાથીઓ અને જોગીઓ પાર્ટીઓને યાદ આવતા હોય છે. કોગ્રેસના કિરીટ પટેલ લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્યોએ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્યોએ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે રાજકારણ ગરમાયું છે. આ ઘટના ક્રમ વચ્ચે લોકોમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે શું પાટીદાર અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ, અલ્પેશ કથીરિયાને કોંગ્રેસે પક્ષમાં જોડવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે.
નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું આજે એક મોટું અને મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રભારીએ જણાવ્યું છે કે નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા અમે તૈયાર છીએ. નરેશ પટેલ મોટો સામાજિક ચહેરો છે. બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે નરેશ પટેલ અંગે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ આખરી નિર્ણય લેશે.
- Advertisement -
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું આ મુદ્દે એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અમે પ્રભારી સાથે મુલાકાત કરી છે. સુરતમાં કોંગ્રેસને મજબૂત કરવા ચર્ચા થઈ છે. સુરતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. 2-3 નામો પર ચર્ચા થઈ છે એ અત્યારે જાહેર નહીં કરું શકું. અલ્પેશ સહિત 2-3 ચહેરા સાથે વાત ચાલુ છે. હાર્દિક પટેલ પણ અમારી સાથે જ છે. અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં સંગઠનને મજબૂત કરવા ભાર મુક્યો છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ગત ચૂંટણી કરતા વધુ બેઠકો મેળવશે.

કોંગ્રેસ ચૂંટણી પહેલા જાણીતા ચહેરાઓને કોંગ્રેસ તરફી કરવા માટે અત્યારથી પ્રયત્નો શરૂ કર્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારનો ગઈકાલ (બુધવાર)નો જગદીશ ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સંઘર્ષ એટલે બાપુ અને બાપુ એટલે સંઘર્ષ…જાહેર જીવનનો બાપુને ખુબ બહોળો અનુભવ છે. હું બિમાર પડ્યો ત્યારે પણ બાપુને જોઈને તૈયાર થયો છું. આ નિવેદન બાદ કાર્યકરો અને અનેક નેતાઓમાં મોટી ચર્ચા ચાલી રહી હતી.


