મહિલા પોલીસકર્મીનાં કપડાં ઉતારવાની કોશિષ કરી: ટોળાંએ ખોટી રીતે સ્પર્શ કર્યો, FIR નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાને બાળી નાખવાને લઈને 17 માર્ચના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનને અરેસ્ટ કરી દીધો છે. તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
ફહીમ ખાને 500થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હતા અને હિંસા ભડકાવી હતી. અથડામણ દરમિયાન તોફાનીઓએ મહિલા પોલીસ અધિકારીનાં કપડાં ઉતારવાનો અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો.
ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આ માહિતી સામે આવી છે. રાતે અંધારાનો લાભ લઈને, ભાલદારપુરા ચોક પાસે તોફાનીઓએ મહિલા અધિકારી સાથે અભદ્ર કૃત્ય કર્યું હતું.
છેડછાડ સિવાય અન્ય મહિલા પોલીસકર્મીઓને અશ્ર્લીલ ઇશારા અને ખરાબ ટિપ્પણીઓ કરી ડ્યૂટી પર હાજર મહિલા અધિકારીને ડરાવવાની કોશિશ કરી હતી.
ઘટનાસ્થળ પર તૈનાત રેપિડ કંટ્રોલ પોલીસ અધિકારીએ તરત વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની સૂચના આપી હતી. ફરિયાદ બાદ, તોફાનીઓ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો.
નાગપુર હિંસાની સમગ્ર ઘટનાને સામાન્ય રીતે સમજીએ તો વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે શિવાજી મહારાજની પ્રતિમાની સામે ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરતાં નારા લગાવ્યા.
પ્રદર્શનકારીઓએ ઔરંગઝેબનું પૂતળું બાળ્યું. પૂતળા પર વાંધાજનક સામગ્રીનો ઉપયોગ કર્યો. પૂતળા પર એક ચાદર મૂકવામાં આવી હતી. ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી એક ચોક્કસ સમુદાયના લોકો ચોકમાં ભેગા થઈ ગયા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. સ્થિતિ તંગ બની ગઈ અને પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યો. કેટલાક લોકો બીજા ચોકમાં ભેગા થયા. બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થઈ ગયો. સંખ્યાબંધ ઘર, દુકાન અને વાહનોમાં આગચંપી કરી.