ટ્વીટ કરીને કોંગ્રેસમાં જોડાવાની અફવાને બાવળીયાએ નકારી
ભાજપમાં છું અને એમાં જ રહીશ – કુંવરજી બાવળીયા
વિધાનસભાની 150થી વધુ બેઠકોમાં પ્રભુત્વ મેળવવા માટે દરેક જ્ઞાતિ સક્રિય
નરેશ પટેલના કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. પાર્ટીઓ પોતાનો વિજય નિશ્ચિત કરવા માટે નવા ચહેરાઓને પોતાની પાર્ટીમાં ખેંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ હમણાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કોંગ્રેસ પોતાની ડૂબતી નૈયાને બચાવવા માટે અને પાટીદાર વોટ બેન્કને પોતાની કરવા માટે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. ત્યારે ભાજપના બીજા મંત્રીઓ કોંગ્રેસમાં જોડાઈ તેવી અફવાઓ વાયુવેગે ફેલાઈ રહી છે.
- Advertisement -
ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાળવીયા કોંગ્રેસમાં જોડાશે તેવી અફવાએ ભારે જોર પક્યું હતું પરંતુ આજે કુંવરજી બાવળીયાએ આ બધી અફવાઓને ફગાવીને આ અંગે પોતાના ટ્વીટર પર ખુલાસો કરી દીધો છે. બાવળીયાએ ટ્વીટમાં જણાવ્યું છે કે, હું ભારતીય જનતા પાર્ટી સમક્ષ અને શીર્ષસ્થ નેતૃત્વથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને હંમેશા ભાજપમાં જ રહેવાનો છું. છેલ્લા કેટલાક સમયથી મારા કોંગ્રેસમાં જોડાવાના પાયાવિહોણા સમાચારો ફેલવવામાં આવી રહ્યા છે જેમાં કોઈ તથ્ય નથી. ઈશ્વર આવી અફવા ફેલાવનારા તત્વોને સદબુધ્ધિ આપે એવી મારી પ્રાર્થના.
નોંધનીય છે કે, જ્ઞાતિ સમીકરણોમાં દરેક જ્ઞાતિના લોકો હવે સક્રિય થઈ ગયા છે. 150થી વધુ વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ હાંસિલ કરવા માટે કોળી-ઠાકરો-પાટીદાર-ક્ષત્રિય સહિતની જ્ઞાતિઓ મેદાને આવી ચૂકી છે. ત્યારે નરેશ પટેલના કોંગ્રેસના જોડાણથી ભાજપને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવું રહ્યું કે નરેશ પટેલનું નામ કંઈ પાર્ટી સાથે જોડાઈ.
- Advertisement -