વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનો ભારત કટિબદ્ધ
AIથી માનવીય સંબંધો જોખમમાં મુકાઈ શકે : પોપ વિશ્ર્વમાં ટેક્નોલોજીની મોનોપોલીનો અંત જરૂરી : પીએમ મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
દુનિયામાં ટેક્નોલોજીમાં મોનોપોલીનો અંત લાવવાની હાકલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે 21મી સદી ટેક્નોલોજીની સદી છે. જી-7 સમિટના આઉટરીચ સેશનમાં પીએમ મોદીએ ઊર્જાના ક્ષેત્રમાં ભારતના દૃષ્ટિકોણ અને 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ અંગે પણ વાત કરી હતી. વધુમાં દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત તેની વિકાસ યાત્રા માટે એઆઈનો લાભ લઈ રહ્યું છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈટાલીના અપુલિયામાં આયોજિત જી-7 સમિટના આઉટરીચ સેશનમાં ભારતમાં તાજેતરમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીની વિશેષતા અને તેની વિશાળતાની માહિતી આપી હતી અને જણાવ્યું કે, ભારતની ચૂંટણી દુનિયાના લોકતંત્રો માટે સૌથી મોટું પર્વ છે.
તેમણે ઉમેર્યું કે, 21મી સદી ટેક્નોલોજીની સદી છે. માનવ જીવનનું ભાગ્યે જ કોઈ પાસુ ટેક્નોલોજીથી પ્રભાવિત નહીં હોય. આ ટેક્નોલોજી મનુષ્યને ચંદ્ર પર જવાની હિંમત આપવાની સાથે સાયબર સિક્યોરિટી જેવા પડકારો પણ પેદા કરે છે. આપણે ટેક્નોલોજીનો સંહારક નહીં પરંતુ સર્જનાત્મક સ્વરૂૂપ આપવું જોઈએ ત્યારે જ આપણે સમાવેશક સમાજનો પાયો નાંખી શકીશું. તેમણે ઉમેર્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ભારત રાષ્ટ્રીય રણનીતિ બનાવનારા પહેલા કેટલાક દેશોમાં સામેલ છે. આ રણનીતિના આધારે અમે આ વર્ષે એઆઈ મિશન લોન્ચ કર્યું છે. ભારત તેની વિકાસ યાત્રામાં એઆઈના લાભ લઈ રહ્યું છે. તેનો મૂળ મંત્ર છે એઆઈ ફોર ઓલ. ગ્લોબલ પાર્ટનરશિપ ફોર એઆઈના સંસ્થાપક સભ્ય અને લીડ ચેર તરીકે અમે બધા જ દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે કટિબદ્ધ છે. વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને તણાવમાં ગ્લોબલ સાઉથના દેશોએ સૌથી વધુ સહન કરવું પડે છે. આવા સમયે ભારત વિશ્ર્વના આ દેશોની પ્રાથમિક્તાઓ અને ચિંતાઓ વિશ્ર્વ સમુદાય સમક્ષ ઉઠાવવાની પોતાની જવાબદારી સમજ્યું છે. દરમિયાન આઉટરીચ સત્રનું ઉદ્ધાટન કરતાં પોપ ફ્રાન્સિસે વિશ્ર્વના ધનિક લોકતંત્રોના નેતાઓને વિકાસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગમાં માનવીય સન્માન જાળવવા પર ભાર મુકવા જણાવ્યું હતું. તેમણે એઆઈ જેવી શક્તિશાળી ટેક્નોલોજીથી માનવીય સંબંધો પર ગંભીર અસર પડી શકે છે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.