ઘઉંનો જથ્થો ખૂટી રહ્યો હોવાની વાત વચ્ચે કિંમતો આકાશને આંબવા લાગતાં સરકારે કરેલો બચાવ: સટ્ટાબાજીને કારણે ઘઉંની કિંમતો વધી રહ્યાનો ખાદ્ય સચિવનો એકરાર
ઘઉંની વધી રહેલી કિંમતો પર લગામ કસવા માટે સરકાર સંગ્રહાખોરીકરનારા લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી શકે છે. આ સાથે જ સરકાર વેપારીઓ દ્વારા ઘઉંના સ્ટોકનો ખુલાસો કરવા અને સ્ટોકલિમિટ લાગુ કરવાનો વિચાર પણ કરી રહી છે. કેન્દ્ર સરકારે સાફ કર્યું છે કે દેશમાં ઘઉંનો પર્યાપ્ત ભંડાર છે અને સટ્ટાબાજીને કારણે ઘઉંની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
- Advertisement -
રોલર ફ્લોર મીલર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાની 82મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતાં ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે દેશમાં ઘઉંની કોઈ જ સમસ્યા નથી. ભારતીય ખાદ્યનિગમના ગોડાઉનોમાં 2.4 કરોડ ટન ઘઉં ઉપલબ્ધ છે. પાંડેએ એમ પણ કહ્યું કે કેન્દ્રએ ખાદ્યાન્નની ખરીદીના સંબંધમાં રાજ્ય સરકારોને સ્પષ્ટ આદેશ આપી દીધા છે. એક વાત એવી પણ સામે આવી રહી છે કે કેન્દ્ર રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલી ખરીદી પર 2% સુધી આકસ્મિક ખર્ચ પૂરો પાડશે.
બીજું એ કે ખરીદીના ખર્ચને ઓછો કરવાના હેતુથી કેન્દ્રીય બફર સ્ટોક માટે ખાદ્યાન્નની ખરીદીના કામમાં ખાનગી કંપનીઓને સાથે લેવામાં આવી શકે છે. ઘઉંની નિકાસનો ઉલ્લેખ કરતાં ખાદ્ય સચિવે જણાવ્યું કે ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 45 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી છે તેમાંથી 21 લાખ ટન ઘઉં 13 મેએ નિકાસ પર પ્રતિબંધ લગાવતાં પહેલાં મોકલી દેવામાં આવ્યા હતા. ભારતે પાછલા નાણાકીય વર્ષમાં 72 લાખ ટન ઘઉં નિકાસ કર્યા હતા.
સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે. આ યોજના સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે આ નિર્ણય સરકારે લેવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. યોજના હેઠળ 80 કરોડ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ પાંચ કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યું છે.
- Advertisement -