‘‘સાહેબ! મારે ડોકટર બનીને લોકોની સેવા કરવી છે’’ મુખ્યમંત્રી સાથે કિશોરી ઝલક પારેખનો સંવેદનાસભર સંવાદ
ઝલક પોતાની અને પોતાના નાના ભાઈ દેવની કાળજી અને અભ્યાસની જવાબદારીનો હિંમતભેર કરી રહી છે સામનો
રાજકોટ:- ૮ વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર રાજકોટની કિશોરી ઝલકની માતાનું મૃત્યુ પણ કોરોનામાં થતાં હવે તેનું અને તેના નાના ભાઈનું શું થશે ? એ યક્ષ પ્રશ્ન એને અત્યાર સુધી મુંઝવતો હતો. પરંતુ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મતી અંજલીબેન રૂપાણીને મળ્યા બાદ તેમની સાથે થયેલ સંવાદથી આ કિશોરી તેની અને તેના નાના ભાઈના ભવિષ્યથી નિશ્ચિંત બની ગઈ.

- Advertisement -
મુખ્યમંત્રી સાથે થયેલ મુલાકાત અને સંવાદની આ ઘટનાને વર્ણવતાં ગદગદીત સ્વરે ઝલક કહે છે કે, મારા પિતાના મૃત્યુ બાદ કોરોનાના કપરા સમયમાં મારી માતાનો હાથ પણ અમારી ઉપર ન રહયો મારી માતાનું મૃત્યું થતાં હવે અમારા બન્ને ભાઈ – બહેનનું કોણ ? એ મોટો પ્રશ્ન મારી સામે હતો પરંતું અમારી આ મુશ્કેલી મુખ્યમંત્રી ને મળવાથી દૂર થઈ ગઈ. મુખ્યમંત્રી એ અમારા માતા – પિતાની જેમ જ અમને આજે હૂફ – સધિયારો આપ્યો છે, જેના કારણે હવે હું હાશકારો અનુભવું છું મને વિશ્વાસ છે કે, હવે અમને કોઇ જ મુશ્કેલી નહીં પડે કારણ કે મારા અને ભાઇના માથે હવે રાજયના મુખ્યમંત્રી રૂપાણીજીનો હાથ છે, તેમ ગૌરવભેર જણાવતા ઝલક વધુમાં ઉમેરે છે કે અમારા બન્ને ભાઇ બહેનના અભ્યાસની અને ઉજ્જવળ કારકિર્દીની જવાબદારી રાજય સરકાર લેશે તેવો સધીયારો આપવા સાથે અમને દરેક પ્રકારે મદદરૂપ બનવાનું પણ મુખ્યમંત્રી એ જણાવ્યું છે.
ઝલકના પિતા નિપુલભાઈનું ૮ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. હાલમાં કોરોનામાં માતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈ દેવ સાથે હાલમાં તેમના નાની સાથે રહે છે. ૧૨માં ધોરણમાં સાયન્સની તેજસ્વી વિદ્યાર્થીની હાલ નીટની તૈયારી જોરશોરથી કરી રહી છે. માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈની અભ્યાસ સહિત દેખભાળની પણ એક વ્હાલી બહેન તરીકેની જવાબદારી નિભાવી રહી છે.

- Advertisement -
માતા કોરોનામાં મૃત્યુ પામતા દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર રૂપી સેવાના સ્વપ્નને સેવતી ઝલક ખુબજ આત્મવિશ્વાસ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ સાથે મોકળા મને સાધેલા સંવાદમાં ડોક્ટર બની લોકોની સેવા કરવાની મહેચ્છા દર્શાવી હતી. જેને મુખ્યમંત્રીશ્રિએ બિરદાવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટેબ્લેટની ભેટ મળ્યા બાદ ખુબ જ ખુશી સાથે તેણીએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી ખેંચી હતી. ઝલક હાલ માતા પિતાની ગેરહાજરીને ભૂલી સશક્ત ઉજ્વળ ભવિષ્ય તરફ પ્રતિબદ્ધતા સાથે કર્મના સિદ્ધાંતને વરી આગળ વધી રહી છે.
‘શો મસ્ટ ગો ઓન’ ઉક્તિને સાર્થક કરતી ઝલક કોરોનામાં અનાથ બનેલા અન્ય નિરાધાર બાળકો માટે રોલ મોડેલ બની તરીકે ઉભરી આવી છે.
રાજ્ય સરકાર દ્વારા બાળ સેવા યોજના તળે માસિક ૪૦૦૦ રૂ.ની સહાય તેમના સ્વપ્નને સાર્થક કરવામાં મદદરૂપ બનશે તેમ જણાવી મુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકારનો તેણે દિલથી આભાર માન્યો હતો.
રાજકોટ ખાતે આયોજિત બાળ સેવા સંવાદ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સહિતના મહાનુભવોએ પણ ઝલકની હિંમત, આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી.


