ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી સોમવારે રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા.
બંને સીએમ પરિવાર સાથે રામ મંદિર પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ તેમના માતા-પિતા, પત્ની અને બાળકો સાથે મંદિરે જવા માંગે છે.
ભગવાન શ્રી રામના દર્શન કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સાઈટ ડ પર પોસ્ટ કરી જણાવ્યું કે, માતા-પિતા અને ધર્મપત્ની સાથે આજે અયોધ્યા જઈને શ્રી રામ મંદિરમાં રામલલાના દિવ્ય દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ અવસર પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેમનો પરિવાર પણ સાથે રહ્યો હતો. સૌએ સાથે મળીને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દર્શન કર્યા અને દેશની પ્રગતિ અને સમગ્ર માનવતા જાતિના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ભગવાન શ્રી રામચંદ્રજી સૌનું મંગળ કરે. જય શ્રી રામ.
અયોધ્યામાં રામલલાના મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રામલલાની પૂજા કર્યા બાદ મને ખૂબ જ શાંતિનો અનુભવ થયો છે. અહીં દરરોજ લાખો ભક્તો આવે છે. અહીં પ્રેમ અને ભક્તિ જોવી ખૂબ જ હૃદયસ્પર્શી છે. અમે દરેકના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
અયોધ્યામાં રામ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, રામલલાના દર્શન કરવાની લાંબા સમયથી ઈચ્છા હતી. મેં દેશના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી છે.