પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઈમરાનખાનની ધરપકડ બાદ તેમનાં સમર્થકો દ્વારા તોડફોડ શરૂ કરી દીધી હતી.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ પીએમ ઈમરાન ખાનને એક મોટો ઝટકો આપતાં સેના દ્વારા કરાયેલી તેમની ધરપકડને માન્ય રાખી છે. બપોરે સેનાએ કોર્ટની બહારથી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. જે પછી તેઓ જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યાં હતા. જ્યાં રાતના 10.45ની આસપાસ હાઈકોર્ટે સુનાવણી કરતાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમની ધરપકડને માન્ય ગણાવી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે ઈમરાન ખાન નહીં છૂટી શકે.
- Advertisement -
ઈસ્લામાબાદ હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશે કાર્યવાહિને યોગ્ય ઠેરવી
ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ગૃહ સચિવ અને આઈજી ઈસ્લામાબાદને કોર્ટની અવગણનાની નોટિસ જારી કરવામાં આવી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અમીર ફારુકે ફવાદ ચૌધરી, સૈફુલ્લા નિયાઝી, ફૈઝલ ચૌધરી, નઈમ હૈદર, અલી બુખારીની ધરપકડ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ યોગ્ય છે. કોર્ટે પાક રેન્જર્સની કાર્યવાહિને યોગ્ય ઠેરવી છે.
કયા કેસમાં ઈમરાનની ધરપકડ
પાકિસ્તાની મીડિયા અનુસાર, અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર ઈમરાનની ધરપકડ થઈ છે. અહીં ઇમરાન ખાન તેમની સામે નોંધાયેલા ઘણા કેસોમાં જામીન મેળવવા માટે આવ્યા હતા.
સેનાના કેસમાં સેનાએ કરી ધરપકડ
ઈમરાન ખાને તાજેતરમાં જ પાકિસ્તાન આર્મી અંગે તીખા નિવેદનો આપ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ કારણોસર પોલીસે નહીં પરંતુ સેનાએ તેમની ધરપકડ કરી છે. અત્યાર સુધી ઇમરાન ખાનની ધરપકડ કરવાના ઘણા પ્રયાસો થઇ રહ્યા હતા, પરંતુ પીટીઆઇના કાર્યકરો માનવ સાંકળ રચીને તેમને રોકતા હતા. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં સૈનિકો કોર્ટની બહાર આવી પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈમરાન ખાન જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ અંદર જાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
- Advertisement -
અનેક સ્થળો પર આગ અને તોડફોડ
પાકિસ્તાનનાં પૂર્વ CM ઈમરાનખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાની આગ સળગી છે. ઈસ્લામાબાદથી અનેક વીડિયોને ફોટોઝ સામે આવી રહ્યાં છે જેમાં સમર્થકો અનેક સ્થળો પર આગ અને તોડફોડ કરતાં નજરે પડે છે. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પાકિસ્તાનમાં કલમ 144 લાગૂ કરી છે અને પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે કે જે આ કલમનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
PTIનાં સમર્થકો એક સૈન્યનાં આવાસમાં ઘુસ્યાં
લાહોરનાં છાવણી વિસ્તારમાં એક સૈન્ય અધિકારીનાં આવાસમાં PTIનાં સમર્થકો ઘુસ્યાં હોવાની માહિતી સામે આવી છે. સ્થાનીય પત્રકાર મુર્તજા અલી શાહે ટ્વીટ કરીને આ માહિતી આપતાં જણાવ્યું છે કે’PTIનાં સમર્થકો લાહોર કેંટમાં સૈન્ય અધિકારીનાં ઘરમાં ઘુસી ગયાં છે.’ તેમણે વીડિયો પણ શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો લાઠીની સાથે સરકારી આવાસમાં પ્રવેશ કરી રહ્યાં છે.