મધ્યપ્રદેશ હાઇકોર્ટે આપેલો ચુકાદો
ખાસ-ખબર સંવાદદાતા
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા મહિલા કર્મચારીઓને ત્રીજી વાર માતા બનવા પર મેટરનિટી લીવ આપવાનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટે કહ્યું કે, જો મહિલા પુનર્વિવાહ કરે છે, તો ગર્ભધારણ કરવા પર મેટરનિટી લીવનો લાભ લઈ શકે છે. પછી ભલે તે પહેલા બે વાર મેટરનિટી લીવનો લાભ લઈ ચુક્યા હોય. હાઈકોર્ટમાં જબલપુર જિલ્લાના પૌડી કલા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા પ્રિયંકા તિવારીએ એક અરજી દાખલ કરી હતી. અરજીમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્ન 2002માં થયા હતા અને 2018માં તેના છૂટાછેડા થયા. ત્યાર બાદ 2021માં ફરીથી લગ્ન કર્યા અને તે હવે ગર્ભવતી છે. પણ હાલના નિયમ અનુસાર ફક્ત બે વાર મેટરનિટી લીવ લઈ શકાય છે. તેના કારણે તે ત્રીજી વાર મેટરનિટી લીવ લઈ શકે નહીં. પ્રિયંકા તિવારીએ અરજીમાં આગળ કહ્યું કે, જો કોઈ મહિલા કર્મચારી છૂટાછેડા બાદ ફરી વાર લગ્ન કરે છે, તો તેને ફરી વાર મેટરનિટી લીવની હકદાર હોવી જોઈએ.