જૂનાગઢ મનપા બોર્ડમાં વોંકળા પર બાંધકામનો મુદ્દો ઉછળ્યો
વોંકળા પર થયેલ ગેરકાયદે બાંધકામ મુદ્દે વિપક્ષના સવાલો: શહેરની સમસ્યા મુદ્દે વિપક્ષ – શાસક આમને સામાને
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં શહેરમાં અતિ ભારે વરસાદથી શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેમાં ખાસ શહેરના વોંકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામનો મુદો ઉછળ્યો હતો અને વિપક્ષે શાસક પક્ષ પાસે વોંકળા પરના દબાણો અને બાંધકામ મુદ્દે શું કામગીરી કરી અને સર્વે ક્યારે પૂર્ણ થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા આમ શહેરની સમસ્યા મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ આમને સામાને આવી ગયા હતા.
જૂનાગઢ મનપા કચેરી ખાતે યોજાયેલ જનરલ બોર્ડમાં શાસક પક્ષ તરફથી શહેરમાં જે વોંકળા પર થયેલ બાંધકામ મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને બોર્ડમાં હાજર રહેલ મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગિરીશ કોટેચા અને સ્થાહી સમિતિ ચેરમેન હરેશ પરસાણા સહીત શાસક પક્ષ દ્વારા જાહેરમાં વિપક્ષ ને રોકડું પરખાવી દીધું હતું અને જણાવ્યું હતું કે વોંકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામનો સર્વે ચાલી રહ્યો છે અને કાયદેસર કાર્યવાહી થશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહિ આવે અને બચાવવામાં પણ નહિ કરવામાં આવે હાલ ટાઉન પ્લાનિંગ અધિકારી દ્વારા શહેરના તમામ વોંકળાનો સર્વે ચાલુ છે તેનો રિપોર્ટ તૈયાર થયા બાદ કોઈપણ ગેરકાયદેસર બાંધકામ વોંકળા પર હશે તેને હટાવી પણ દેવામાં આવશે.
- Advertisement -
આ જનરલ બોર્ડમાં વિપક્ષ સભ્ય લલિત પરસાણા અને મંજુલાબેને શહેરમાં થયેલ તારાજી બાદ જે લોકોને થયેલ નુકશાનનું વળતર આપવાની માંગ કરી હતી તેની સાથે શહેરના જે વોંકળા ઉપર ગેરકાયદેસર બાંધકામમાં જે બિલ્ડરોએ વોંકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે રીતે નિયમ છે કે વોંકળાના 9 મીટર છોડી બાંધકામ થવું જોઈએ તેને બદલે વોંકળા પર દબાણ કરીને શહેરના કુદરતી વહેણ નાના થઈ જતા આજે જૂનાગઢમાં વરસાદી પાણી ઘુસી જતા ખુબ મોટી સમસ્યા ઉભી થઇ હતી.
સ્થાયી સમિતિ ચેરમેન દબાણ મુદ્દે નિવેદન
જૂનાગઢ સ્થાહી સમિતિ ચેરમેન હરેશ પરસાણા જણાવ્યું હતું કે વોંકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કલેકટર, કમિશનર સાથે લેન્ડ રેકર્ડ શાખા અને મનપા ટાઉન અધિકારીની એક કમિટીની રચના કરવામાં આવી છે અને હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે સર્વે થયા બાદ જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને દબાણો પણ દૂર કરવામાં આવશે.