કાયમી ચીફ ઓફિસર ન હોય વિકાસ કાર્યોમાં બ્રેક લાગી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ કે ચૂંટાયેલ નગરસેવકો પાલિકામાં હાજર નહીં રહેતા હોવાથી પ્રજા પરેશાન થઈ રહી હોય તાકીદે કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવા મોરબીના સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને માંગ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકા હસ્તકના ઝુલતા પુલની ગોઝારી દુર્ધટના બાદ સરકાર દ્વારા ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ કાયમી ચીફ ઓફિસરની નિમણુક થયેલ ન હોવાથી નગરપાલિકા વિસ્તારના રહીશોને રોજ-બરોજના કામમાં ઘણી તકલીફ થઈ રહેલ છે તેમજ મોરબી શહેરના વિકાસના કાર્યોને એકદમ બ્રેક લાગી ગઈ છે જેથી મોરબીની જાહેર જનતા વતી મોરબીના સામાજિક કાર્યકર બાબુલાલ સરડવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરીને મોરબી શહેરના વિકાસને ધ્યાનમાં લઈને તેમજ જાહેર જનતાના કામોને ધ્યાનમાં લઇ મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની તાત્કાલિક નિમણુંક કરવા માંગ કરી છે. આ ઉપરાંત ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ હાલમાં મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચૂંટાયેલ નગરસેવકો કે કોઈ અધિકારીની હાજરી નહિ હોવાથી જાહેર જનતા ખુબ જ પરેશાન થઈ રહી છે જેથી મોરબી નગરપાલિકા વિસ્તારની જનતાના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ કાયમી ચીફ ઓફિસરની નિયુક્તિ કરવા અપીલ કરવામાં આવી છે.